Saturday, 16 March 2019

Movie Review:કેવી છે મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર ?

Movie Review:કેવી છે મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર ?
ઓવરઓલ સારી છે, પણ બધાને નહીં ગમે
સ્ટારકાસ્ટઃ ઓમ કનોજિયા, અંજલિ પાટિલ, મકરંદ દેશપાંડે
લેખકઃ હુસૈન દલાલ, મનોજ મૈરતા, રાકેશ ઓમપ્રકાશ મહેરા
ડિરેક્ટરઃ રાકેશ ઓમપ્રકાશ મેહરા
નિર્માતાઃ રાકેશ ઓમપ્રકાશ મહેરા અને અન્ય

તો ભૈયા યૈ હૈ ઔર એક શૌચાલય કે મેસેજવાલી ફિલ્મ

અરે ભાઈ, આ વાત તો તમને પણ ટ્રેલર જોઈને ખબર પડી જ ગઈ હશે. ટોઈલેટ એક પ્રેમકથાની જેમ વાત અહીં પણ સિમ્પલ છે. રાકેશ ઓમપ્રકાશ મહેરા તમને કહેવા માગે છે કે દેશમાં લાખો લોકો શૌચાલય વગર જીવે છે, અને તેમણે કેવી જિંદગી ગુજારવી પડે છે. સ્ત્રીઓને ખુલ્લામાં જતા કેટલી શરમ આવે છે. વગેરે વગેરે. ટોઈલેટમાં સ્ટોરી થોડી જુદી રીતે કહેવાઈ હતી અહીં સેન્સિટિવીટી થોડી વધારે છે. પણ મેસેજની સાથે સાથે લોકોને ફિલ્મ જોવા મજબૂર કરે એવું એન્ટરટેઈનમેન્ટ ફેક્ટર ખૂટે છે.

ફિલ્મમાં શૌચાલયના મેસેજની સાથે સાથે અન્ય બે મેસેજ પણ ડિરેક્ટરે ખૂબ સરળતાથી આપી દીધા છે. એક તો હિન્દુ-મુસ્લિમ છોડીને યુનિટીનો મેસેજ તમે ગમી જશે, જ્યારે કાન્હા એટલે આપણો નાનકડો હીરો અને તેની માતા પાડોશી મુસ્લિમ ફેમિલી સાથે બેસીને જમશે. બીજી વાત એ કે રેપ થયા બાદ પણ એક સ્ત્રીને સ્વીકારી શકાય, લગ્ન કરી શકાય. આ બે મેસેલ ખૂબ જ સલુકાઈથી આપી દેવાયા છે.

એક્ટિંગમાં તો આવું છે ભાઈ

કાન્હાની મોમના રોલમાં અંજલિ પાટિલની એક્ટિંગ સારી છે. નેશનલ એવોર્ડ વિનર છે. તેનામાં સિંગલ મધરની સ્ટ્રગલ પણ દેખાય છે અને નાની ઉંમરની સ્ત્રીના અરમાનો પણ. તો કાન્હાના રોલમાં ઓમ કનોજિયાની ઈનોસન્સ પણ તમને ગમી જશે. પણ અહીં છોટા પેકેટ બડા ધમાકા પણ છે. કાન્હાનો મિત્ર રિંગટોનની એક્ટિંગ દરેક સીનમાં તમને ગમશે. રિંગટોનના રોલમાં આદર્શ ભારતી ધ્યાન ખેંચી લે છે. અને મકરંદ દેશપાંડે નામ હી કાફી હૈ ભાઈ. તમે જ્યારે હોળીના ગીતમાં મકરંદને નાચતા જોશો ત્યાં જ તેના ફેન થઈ જશો.


શું ખૂટે છે ?

જુઓ ભાઈ આ શૌચાલય બનાવવાનો મેસેજ તો આપણે ટોઈલેટમાં જોઈ ચૂક્યા છીએ. વળી એમાં અક્ષયકુમાર પણ હતા. તો ઝૂંપડપટ્ટીની લાઈફ સંખ્યાબંધ ફિલ્મોમાં દર્શકો જોઈ ચૂક્યા છે, એમાંય ઝોયા અખ્તરની લેટેસ્ટ ફિલ્મ ગલી બૉયમાં તો લોકોએ તે ડિટેઈલમાં જોઈ છે. બસ આ જ ડિટેઈલિંગ ખૂટે છે. એક ઝૂંપડપટ્ટીની મુશ્કેલીઓ, ઝૂંપડપટ્ટીના લોકોની મુશ્કેલીઓ પાણીની તંગી કરતાંય વધુ છે. એ બતાવવાનું ચૂકાયુ છે. વળી જ્યારે સોશિયલ મેસેજ આપવો હોય ત્યારે કડવી દવા જેમ માતા બાળકને ફોસલાવીને પીવડાવે તેમ એન્ટરટેઈનમેન્ટ સાથે આપવો પડે. જેથી દર્શકો સુધી પહોંચે અને પૂરેપૂરો પહોંચે. બસ રાકેશ ઓમપ્રકાશ મહેરા સોશિયલ ઈસ્યુ હાઈલાઈટ કરવામાં એન્ટરટેઈનમેન્ટ ચૂક્યા છે.

ઓવરઓલ ફિલ્મ સારી છે સાથે નબળી પણ છે. બધાને નહીં ગમે.


મિડ ડે મીટરઃ 2.5 સ્ટાર (આ અડધો સ્ટાર ખાસ રિંગટોનની એક્ટિંગ માટે)

Friday, 31 August 2018

સંઘર્ષ વચ્ચે તપીને સરિતાએ મેળવી 'સુવર્ણ' સિદ્ધિ

એક પછાત જિલ્લાના અત્યંત પછાત ગામની યુવતીએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

ડાંગ, આ જિલ્લાની ઓળખ તેના કુદરતી સૌંદર્યને લીધે છે. ડાંગને ગુજરાતનું સ્વીટ્ઝર્લેન્ડ પણ કહેવાય છે. એમાંય હાલ જો ચોમાસા દરમિયાન તમે ડાંગનો કુદરતી નજારો માણો તો આંખો ક્યારેય ન થાકે. પરંતુ ઠેર ઠેર પથરાયેલા કુદરતી સોંદર્ય વચ્ચે ડાંગમાં એવા અનેક ગામડા છે, જ્યાં પ્રાથમિક સુવિધા નથી. તમે કદાચ માની નહીં શકો કે આજના જમાનામાં જ્યાં ઈન્ટરનેટ હાથવગું છે, ત્યારે અહીંના કેટલાક ગામમાં હજી છાપું પણ નથી પહોંચતું. અને આવા જ એક ગામની છોકરી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરીને ગોલ્ડ મેડલ અપાવે તે વાત કદાચ માની ન શકાય. પણ, ડાંગની દોડવીરે આ વાત સાચી કરી બતાવી છે.

વાત છે સરિતા ગાયકવાડની. છેલ્લા 24 કલાકમાં કદાચ તમે આ નામ તમારી ટીવી સ્ક્રીન પર કે સોશિયલ મીડિયા પર વાંચી ચૂક્યા હશો, અને ફોટા પણ જોઈ ચૂક્યા હશો. તમારા હાથવગા ઈન્ટરનેટથી સરિતા પર તમે શુભકામનાઓનો વરસાદ પણ વરસાવ્યો હશે. પરંતુ જે દેખાઈ રહી છે તે સરિતાની સુવર્ણ સફળતા છે. તેની પાછળ સરિતા અને તેના પરિવારનો જબરજસ્ત સંઘર્ષ રહેલો છે.  ભારતને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતાડનાર સરિતાએ આ સફળતા માટે આકરો સંઘર્ષ કર્યો છે. કહેવાય છે કે શુદ્ધ સોનું પકવવા માટે આકરી આગમાં તેને તપવવું પડે. સરિતાની આ સુવર્ણ સફળતા પણ સંઘર્ષની આગમાંથી તપીને નીકળી છે.

સરિતા ગાયકવાડ વતની છે, પછાત ગણાતા ડાંગ જિલ્લાની. એમાં પણ આહવા તાલુકામાં આવેલા અંતરિયાળ ગામ કરાડી આંબા એ સરિતાનું ગામ. જ્યાં પ્રાથમિક સુવિધાઓ માત્ર નામ પૂરતી છે. વાહનવ્યવહારની સગવડ નથી, બસ પકડવા માટે પણ ચાર કિલોમીટર ચાલીને ચીખલી સુધી જવું પડે ત્યારે ક્યાંક જઈ શકાય. મોબાઈલ નેટવર્ક પકડવા માટે ઉંચી ટેકરી પર જવું પડે છે, ત્યારે ઈન્ટરનેટની તો વાત જ શું કરવી. પાણીની સુવિધા પણ હજી કેટલાક મહિનાઓ પહેલા આવી છે. વીજળી છે પણ નામની. મૂડ આવે ત્યારે લાઈટ આવે ને ઈચ્છા હોય ત્યારે જતી રહે. એટલે કે ગામમાં કમ્યુનિકેશનના નામે મીંડુ છે. વળી આ ગામમાં શિક્ષણનું પ્રમાણ પણ ઓછું છે. ગામની આવી સ્થિતિ જોઈને કદાચ પહેલીવાર માની ન શકાય કે કરાડી આંબામાંથી કોઈ વ્યક્તિ એમાંય યુવતી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નેતૃત્વ કરે અને ગોલ્ડ મેડલ પણ અપાવે. પરંતુ એશિયન ગેમ્સમાં સરિતાએ સિદ્ધિ મેળવીને સાબિત કર્યું છે સફળતા કોઈ સુવિધાઓની મોહતાજ નથી હોતી.

કરાડી આંબા ગામ વિશે સાંભળીને જ સરિતાએ આ લેવલ પર પહોંચવા માટે કેટલી મહેનત કરવી પડી હશે, તેનો આછો અંદાજ આવી જાય. પરંતુ આ તો સંઘર્ષની શરૂઆત હતી. એક તો પછાત ગામ અને અપાર આર્થિક મુશ્કેલીઓ. નળિયાવાળું નાનકડું ઘર. ઘરની દીવાલો પર કાચી માટીનું લીંપણ. બહારથી ઘરની દીવાલોની ઈંટો દેખાય, અને અંદર લટકે છે સરિતાની સફળતાના પ્રતીક મેડલ્સ.


આવું છે ગોલ્ડ મેડલ જીતનાર સરિતાનું ઘર. પાયાની સુવિધાઓ વગર સપના પૂરા કરવા એ સરિતાની પહેલી પરીક્ષા હતી. પરંતુ સૌથી મોટી મુશ્કેલી હતી પૈસાની. અંતરિયાળ ગામ હોવાને કારણે અહીં કોઈ ધંધા ઉદ્યોગ તો છે નહીં. ગામના મોટા ભાગના લોકો ખેતમજૂરી કરે છે. તે પણ ત્યારે જ મળે જ્યારે પાકની સિઝન હોય. બાકીના સમયે તો ઘરમાં ખાલી હાંડા જ કુસ્તી કરે. 


સરિતાના માતા રમુબહેન અને પિતા લક્ષ્મણભાઈ પણ ખેતમજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે. એક તો ખેત મજૂરીની ટૂંકી આવક તેમાં સરિતા સહિત ચાર સંતાનને ભણાવીને મોટા કરવાના. જો કે જે રીતે સરિતાએ સંઘર્ષ કર્યો છે, પરિસ્થિતિનો પડકાર ઝીલ્યો છે, તેટલી જ મહેનત તેના માતાપિતાની પણ છે.

ડાંગના અંતરિયાળ ગામમાં જન્મેલી સરિતા ગાયકવાડ ખડતલ તો હતી જ. પરિસ્થિતિ સાથેના સંઘર્ષે જ તેને શારીરીકની સાથે સાથે માનસિક બળ આપ્યું. ગામમાં કોઈ સુવિધા ન હોવાને કારણે ક્યારેક પાણી લેવા ટેકરીઓ ચડવી ઉતરવી પડે, તો કિલોમીટરોના કિલોમીટર સુધી ચાલવું પડે. બાળપણથી આ રીતે મોટી થયેલી સરિતાની શારિરીક તાકાત વિક્સી હતી. પણ ગામમાં ન તો સ્પોર્ટ્સ માટે કોઈ સુવિધા હતી, ન તો કોઈ પ્રોત્સાહન મળી શકે તેવી સ્થિતિ. હાલ ભલે સરિતાએ 4*400 મીટર રિલેમાં ગોલ્ડ અપાવ્યો હોય, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે સરિતા મૂળ ખેલાડી હતી ખો ખોની. એટલે સુધી કે સરિતા 17-17 વખત રાષ્ટ્રીય સ્તરે ખો ખોની સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે.


વાંસદાની સ્કૂલમાં અભ્યાસ કરતી સરિતા ખો ખોમાં ભલભલા ખેલાડીઓને પાછળ પાડી દેતી. સ્કૂલનું શિક્ષણ પુરુ થયા પછી સરિતાને ગ્રેજ્યુએશન કરવું હતું. અને અહીં સુધી તો સરિતાએ ક્યારેય એથ્લેટિક્સમાં ભાગ લેવાનું વિચાર્યું નહોતું. પણ ચીખલીની એમ.આર.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સરિતાને પ્રવેશ મળ્યો. અને અહીંના કોચે તેને ખો ખોની સાથે સાથે લાંબી દોડમાં ભાગ લેવાની સલાહ આપી. સરિતાએ દોડવાની શરૂઆત કરીને ટ્રેક પર આ ડાંગ એક્સપ્રેસની સ્પીડ જોઈને તમામ લોકોની આંખો પહોળી થઈ જતી.

આજે સરિતાની સફળતાથી ખુશ તેના પિતા લક્ષ્મણભાઈ ભીની આંખે કહે છે કે,'પરિવારમાં આવક ઉભી કરવી પ્રાથમિક્તા હતી. અને એમાંય ચાર ચાર સંતાનોને ભણાવીને મોટા કરવાના. પણ ટૂંકી આવકમાંય જેમ તેમ કરીને અમે બાળકોને ભણાવ્યા. અને બાળકોએ પણ આજે અમારી મહેનતને સાર્થક કરી બતાવી છે.' હાલ તો સરિતાનો પરિવાર ખુશખુશાલ છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે સરિતા માટે મેદાન સુધી પહોંચવાના પૈસા ન હતા.

આર્થિક સ્થિતિ એવી કે સરિતા જોડે દોડવા માટે ન તો શૂઝ હતા. ન તો પૂરતા ખોરાકની સગવડ. જો કે અહીં સરિતાને સહાય મળી એમ.આર.દેસાઈ કોલેજ તરફથી. કોલેજે સરિતાને શૂઝ આપ્યા સાથે જ સરિતાને જરૂરી આર્થિક સહાય પણ મળી.સરિતાના હેડ કોચ જયમલ નાઈક કહે છે કે, 'શરૂઆતમાં સરિતા શૂઝ વગર દોડતી હતી. તેને શૂઝ પહેરીને દોડવાનું કહેવાયું. પરંતુ બાળપણથી શૂઝ વગર દોડી હોવાને કારણે તેને શૂઝ ન ફાવ્યા. તેમ છતાંય તેણે ટ્રેક પર બાકીની તમામ હરીફોને ધૂળ ચાટતી કરી દીધી. જો કે બાદમાં અમે તેને શૂઝ પહેરીને દોડવાની તાલીમ આપવાની શરૂ કરી.' એક તરફ સરિતાની મહેનત હતી અને આર્થિક સહાય કોલેજ તરફથી મળવાની શરૂ થઈ, બસ અહીંથી સરિતાએ ટ્રેક પર એવી સ્પીડ પકડી કે પાછું વાળીને જોયું નથી. સરિતાની સ્પીડ જોઈને નડિયાદ સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા તાલીમ માટે તેની પસંદગી થઈ. અહીં 2 વર્ષની તાલીમ બાદ સરિતાની મહેનત રંગ લાવી. અને નેશનલ કેમ્પ પટિયાલામાં ટ્રેનિંગ માટે સરિતાને તેડું આવ્યું. આકરા સંઘર્ષની આગમાંથી પસાર થયા બાદ સરિતાની કિસ્મતની ચાવી ખુલી હતી.


નેશનલ કેમ્પમાં જબરજસ્ત મહેનત અને આકરી તાલીમ બાદ નેશનલ લેવલ પર તો સરિતા સારું પ્રદર્શન કરી જ રહી હતી, મેડલ્સ પણ જીતી રહી હતી. પરંતુ દરેક ખેલાડીનું જે સપનું હોય છે, તેવું જ ઈન્ડિયાની ટી-શર્ટ પહેરી દેશને ગૌરવ અપાવવાનું સરિતાનું સપનું પણ હજી રાહ જોવડાવતું હતું. આખરે ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ માટે સરિતાની પસંદગી થઈ. જો કે આ ગેમ્સમાં ભારતને રિપ્રેઝન્ટ કરવાનું તેનું સપનું જરૂર પુરુ થયું, પણ સરિતાને મેડલ ન જીતી શકવાનો અફસોસ હતો.. કોમનવેલ્થ ગેમ્સ બાદ જકાર્તામાં જ ગયા વર્ષે યોજાયેલી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સરિતા ટ્રેક પર ઉતરી અને આ વખતે મેડલ પણ જીતી લાવી. જે બાદ અમેરિકાના બહામાસમાં યોજાયેલી રિલે ચેમ્પિયનશિપમાં પણ સરિતા ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. સરિતાના સતત જબરજસ્ત પર્ફોમન્સે જ તેને એશિયન ગેમ્સમાં તક અપાવી. બસ તક સરિતાએ ઝડપી લીધી અને 4*400 મીટર રિલેની ટીમ ઈવેન્ટમાં સરિતા પોતાની ટીમમેટ્સ હીમા દાસ, પૂવમ્મા રાજુ મછેત્તીરા અને વેલ્લુવા કોરોથ વિસ્મયા સાથે એવું દોડી કે ગોલ્ડ મેડલ જીતી લાવી.


સંઘર્ષની આગમાં તપીને નીકળેલી સરિતાની સિદ્ધિને સો સો સલામ. એશિયન ગેમ્સમાં સફળતા મેળવી ચૂકેલી આ ડાંગી દોડવીરની નજર હવે 2020માં યોજનારા ટોકિયો ઓલિમ્પિક્સ પર છે. સરિતા હવે ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી મેડલ જીતવા ઈચ્છે છે. ત

Monday, 2 January 2017

તારી યાદ....

દિલના એક ખૂણે ધરબેલી તારી યાદો નીકળી,
જેને સંતાડી હતી હ્રદયના એક અંધારા ખૂણામાં
મૂક્યો હતો એક કાળમીંઢ પથ્થર એના પર
પણ
લાગણીની એ લીલીછમ કૂંપળ આજે ફરી ફૂટી નીકળી

Thursday, 15 December 2016

કરચલી

આ કરચલી નથી, મારા વૃદ્ધત્વની નિશાની,
એ તો ઘા છે, મારા જીવન સમરાંગણના

Wednesday, 12 October 2016

જિંદગી

શરૂઆત
નિર્દોષ બાળપણ
યૌવન
હૂંફાળી હવા
આહલાદક વાતાવરણ
ઊંઘવાની મજા
તાપ
જવાબદારી
આકરી ગરમી
પડકારો
વરસાદ માટે ટાળવળતી ધરતી
જમીનમાં પડેલા ચીરા
મુશ્કેલીઓ
ગરમ પવન, વાતી લૂ
સુસવાટા
વંટોળ
મહેનત કરીને ઉગાડેલા પાકને ઉખાડી નાખતું વાવાઝોડું
નિષ્ફળતા
ફરી ખેડાતું ખેતર
વધુ એક પ્રયત્ન
આકરી મહેનત
પરસેવાથી તરબતર
ઇન્તેજાર
વરસાદ
સફળતા
આનંદ

Wednesday, 31 August 2016

મિશન 2017:ભાજપ માટે કપરું ચઢાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2012માં જે યોજનાનું ખાતમૂહુર્ત કર્યું હતું.. તે સૌની યોજનાનું મંગળવારે લોકાર્પણ કરાયું. કાર્યક્રમ તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની તંગી દૂર કરવા માટે તૈયાર થયેલી સૌની યોજનાના પહેલા તબક્કાના લોકાર્પણનો હતો. પરંતુ નિશાન હતું 2017ની વિધાનસભા ચૂંટણી. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ભલે ક્યાંય ચૂંટણીલક્ષી ઉલ્લેખ ન કર્યો હોય, પરંતુ ચૂંટણી માટે ભાજપની તૈયારીઓનું રણશિંગુ જરૂર ફૂંકી દીધું છે. ભાજપે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રની પ્રજાને ખુશ કરવાનો પ્રયત્ન જરૂર કર્યો છે.. પરંતુ નરેન્દ્ર મોદીના શાસનકાળમાં જે ગુજરાત ભાજપને ચૂંટણી જીતવાની આદત પડી તે ભાજપ માટે આવનારી વિધાનસભાની ચૂંટણી આસાન સ્હેજેય નહીં હોય.
ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં શાસન ટકાવી રાખવા માટે આ વખતે ભાજપે નક્કર પ્રયત્નો કરવા પડશે તે નક્કી છે. પાટીદાર આંદોલન, દલિત અત્યાચાર કાંડ ઉડીને આંખે વળગે તેવા આ બે મુદ્દા ભાજપની સત્તાની ખુરશીના પાયા હલાવી શકે છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ હાલ ભલે ગુજરાતની બહાર હોય પરંતુ ચૂંટણી પહેલા તો તે પણ ગુજરાતમાં પાછા ફરશે. અને ભૂતકાળ જોતા તે પાટીદારોને ભાજપ વિરુદ્ધ મત આપવા હાકલ પણ કરશે. પાટીદાર આંદોલનને પગલે ભાજપની પરંપરાગત ગણાતી પાટીદાર વોટબેન્કમાં ગાબડું પડી ચૂક્યું છે.. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ તેના પરિણામ પણ ભોગવી ચૂકી છે. ત્યારે ભાજપે પાણી પહેલા પાળ બાંધવાનો પ્રયત્ન કર્યો છે. પોતાની શાખ બચાવવા ભાજપે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન કર્યું, પરંતુ ભાજપને પણ ઉંડે ઉંડે પાટીદારો પોતાનો સાથ છોડશે તેવી ચિંતા સતાવી રહી છે. પરિણામે પાટીદારોને રાજી કરવા માટે નીતિન પટેલને ઉપમુખ્યપ્રધાન બનાવાયા, તો પાટીદાર નેતા જીતુ વાઘાણીને પક્ષ પ્રમુખનો તાજ પહેરાવાયો.. પરંતુ માર્ગ હજી  પણ કાંટાળો છે. કેટલાક સમય પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જોતા આગામી ચૂંટણીમાં પાટીદારો ભાજપને કેટલે અંશે સાથ આપે છે તે એક સવાલ છે.. હવે જો ભાજપની પરંપરાગત વોટબેન્ક જ તેનો સાથ છોડે તો ભાજપના વોટની ટકાવારીમાં ખાસ્સો એવો ફરક નોંધાઈ શકે છે..
ફક્ત પાટીદારો જ નહીં પરંતુ દલિતો પણ આવનારી ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવશે.. આનંદીબહેનના કાર્યકાળના અંતિમ તબક્કામાં ઉનાના સમઢિયાળામાં થયેલા દલિત અત્યાચારની ગૂંજ સંસદ સુધી સંભળાઈ.. અને એક પાટીદારોની નારાજગીનો સામનો કરી રહેલા ભાજપે દલિતોની પણ નારાજગી વહોરવી પડી.. અત્યાચારના બહાર આવેલા વિડીયો બાદ રાજ્યભરમાં દલિતો એક થયા. દલિતો ભલે પાટીદાર આંદોલન જેટલી મોટી ચળવળ ઉભી નથી કરી શક્યા. પરંતુ છૂટાછવાયા યોજાઈ રહેલા દલિત સંમેલનો સભાઓ એ વાતની સાબિતી છે કે રાજ્ય સરકાર પ્રત્યે હજી પણ દલિતોના મનમાં રોષ ભભૂકી રહ્યો છે.. જો વિધાનસભાની ચૂટણી પહેલા ભાજપ આ રોષ ઠારવા કોઈ અસરકારક કામગીરી નહીં કરે તો તે જ્વાળામુખી બનીને ભાજપને નુક્સાન જરૂર પહોંચાડી શકે છે..
તો આમ આદમી પાર્ટી પણ ભાજપની જીતમાં વિઘ્ન ઉભું કરી શકે છે. રાજ્યમાં પગ જમાવવા મથતી આમ આદમી પાર્ટી ભલે ભાજપની સત્તા ન હલાવી શકે. પરંતુ તેના પાયા જરૂર ડગમગાવી શકે છે. દિલ્હીમાં સત્તા મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીની નજર પંજાબ અને ગોવાની સાથે સાથે ગુજરાત પર પણ છે, અને આ માટે આમ આદમી પાર્ટીએ સંગઠન મજબૂત કરવાની કવાયતો શરૂ કરી દીધી છે. ભાજપથી નારાજ પાટીદારો અને દલિતોના મત પોતાની તરફ ખેંચવા આમ આદમી પાર્ટી પ્રયાસો કરી રહી છે. તો દિલ્હીના શાસનનું ઉદાહરણ આપી ગુજરાતની પ્રજાને આકર્ષવાની કોશિશ કરાઈ રહી છે.. એટલે સુધી કે અરવિંદ કેજરીવાલ ટૂંકાગાળામાં બે વખત ગુજરાતનો પ્રવાસ ખેડી ચૂક્યા છે.. ત્યારે ભાજપ માટે આ કપરાં કાળમાં આમ આદમી પાર્ટી પણ પડકાર સાબિત થઈ શકે છે..
 ગુજરાતીઓના મન જીતવા કેજરીવાલ એન્ડ કંપની ધમપછાડા તો કરી રહી છે પરંતુ ઈતિહાસ જોતા ગુજરાતની પ્રજાએ ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી ત્યારે ભાજપ માટે આમ આદમી પાર્ટી કદાચ પોતાની હરિફાઈ જ નહીં હોય, પરંતુ લાંબા સમય બાદ કોંગ્રેસ જરૂર ભાજપને  સ્પર્ધા પૂરી પાડી શકે છે... નરેન્દ્ર મોદીના શાસનકાળમાં તો રાજ્યમાં જાણે વિપક્ષ જ ન હોય તેવો શન્યાવકાશ સર્જાયો હતો. પરંતુ રાજ્યમાં મરણપથારીએ પડેલી કોંગ્રેસમાં પાટીદાર આંદોલને પ્રાણ ફૂંક્યો.. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગ્રામીણ વિસ્તારોમાં ભાજપ પર ભારે પડ્યા બાદ કોંગ્રેસમાં દોડવાનું જોમ આવ્યું. હવે હાથમાં આવેલી તક કોંગ્રેસ જવા દેવા તૈયાર નથી. ચૂંટણીમાં જીતના જાગેલા આશાના કિરણ બાદ કોંગ્રેસે પણ 2017ની ચૂંટણી માટે કમર કસી લીધી છે. એક સમયે ખામ થિયરી અપનાવનાર કોંગ્રેસ હવે પટેલો અને દલિતોને પોતાના પક્ષમાં કરવાના મૂડમાં છે..
તો પોતાના ચાર્મથી લોકોને આકર્ષતા વડાપ્રધાન મોદી અને ચૂંટણીને ચાણક્ય ગણાતા અમિત શાહ પણ આ ચૂંટણીમાં ગુજરાતમાં નથી.. પાછલી દરેક ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપનો ચહેરો હતા.. અને અમિત શાહ ચૂંટણીની રણનીતિ ઘડતા હતા. જો કે હવે આ બંને નેતાઓ રાષ્ટ્રીય કક્ષાએ સક્રિય છે..આ બંને નોતાઓ ભાજપને જીતાડવા પ્રયત્ન જરૂર કરશૈ.. પરંતુ  અમિત શાહ અને નરેન્દ્ર મોદી જેવા બે માહિર મહારથીઓની ગેરહાજરીથી ભાજપને ચૂંટણી અભિયાનોમાં મુશ્કેલી પડી શકે છે.
સરવાળે, પાટીદાર આંદોલન, દલિત અત્યાચાર કાંડ, ભાખોડિયા ભરી રહેલી આમ આદમી પાર્ટી અને નવયુવાન થયેલી કોંગ્રેસ આ ચારેય મુદ્દા ભાજપને 2017ની ચૂંટણી જીતવામાં અંતરાય રૂપ જરૂર સાબિત થઈ શકે છે.. પરંતુ વિધાનસભાની ચૂંટણીને હજી 12 મહિનાની વાર છે, ત્યારે ટી.20 મેચની માફક પાસું ક્યારેય પણ પલટાઈ શકે છે.. માટે આગે આગે દેખિયે હોતા હૈ ક્યા... 

Sunday, 5 July 2015

હડતાળ કેટલી યોગ્ય? ક્યારે અયોગ્ય?


``આજકાલ હડતાળો રોજની થઈ પડી છે.તે વર્તમાન અશાંતિની નિશાની છે. રાજકીય હેતુઓ સિદ્ધ કરવા હડતાળ પડાવી શકાય છે. વજૂદવાળા કારણો વિના હડતાળ પાડવાની ન હોય. કોઈ પણ અન્યાયી હડતાળ  સફળ થવી ન જોઈએ.''(પૃ-34-36, મારા સ્વપ્નનું ભારત, ગાંધીજી) `મારા સ્વપ્નનું ભારત' પુસ્તકમાં હડતાળ નામના પ્રકરણમાં પૂ.બાપુ હડતાળ વિશેના તેમના વિચારો આ શબ્દોમાં વ્યક્ત કરે છે.
     હવે, ગત્ શુક્રવારે તા.3 જુલાઈના બધા જ છાપામાં હેડલાઈન્સ હતી. અમદાવાદની વાડીલાલ સારાભાઈ(વી.એસ.) હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટરોની હડતાળ. આ ઉપરાંત રાજકોટ અને દિલ્હીમાં પણ રેસિડેન્ટ ડૉક્ટરોએ હડતાળ પાડી હતી. દર્દી માટે ભગવાન મનાતા ડૉક્ટરો કે જેમની પર દર્દીઓને બચાવવાની જવાબદારી છે. તેઓ જ હડતાળ પર ઉતરી જાય છે. 
          ગાંધીજી કરે છે,`હડતાળો રોજની થઈ પડી છે. તે વર્તમાન અશાંતિની નિશાની છે.' તેની સામે છેલ્લા છ મહિનામાં રેસિડેન્ટ ડૉક્ટરોની આ પાંચમી હડતાળ હતી. મજૂરો કે અન્ય જૂથના લોકો, વિવિધ બેન્કો કે સરકારી કર્મચારીઓ હડતાળ કરે તો વધુમાં વધુ ઉત્પાદન અટકી પડે અથવા સરકારી કામકાજ અટકી જાય પણ એ ખોટ સહન કરી શકાય. જ્યારે ડૉક્ટરો હડતાળ કરે તો દર્દીએ પોતાનો જીવ અને તેના સ્વજનોને પોતાનું કોઈ વ્યક્તિ ગુમાવવાનો વારો આવે. આ દર્દી એવી વ્યક્તિ પણ હોઈ શકે જેના પર આખો પરિવાર નભતો હોય.
            દર્દીઓ હોસ્પિટલમાં ડૉક્ટરો પાસે ઝડપથી આમ થવાની આશા લઈને આવતા હોય છે. હવે, જ્યારે ડૉક્ટરો જ હડતાળ કરે ત્યારે દર્દીઓએ શારીરીક અને માનસિક બંને કષ્ટ સહન કરવાના આવે છે. પૈસેટકે સુખી લોકોને તો સરકારી હોસ્પિટલોમાં આવવાની જરૂર જ પડતી નથી. તેઓ તો ખાનગી હોસ્પિટલોમાં જ સારવાર લે છે. તેથી આ ડૉક્ટરોની હડતાળને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને જ ભોગવવું પડે છે.
          વી.એસ. હોસ્પિટલમાં ડૉક્ટરોની હડતાળને પગલે ઓપરેશન રદ કરવા પડ્યા. વી.એસમાં રોજના સરેરાશ 70-75 ઓપરેશન થાય છે. જ્યારે હડતાળને કારણે માત્ર 36 ઓપરેશન થયા. રોજ ઓપીડીમાં 1500 દર્દીઓ હોય છે. જેના સ્થાને હડતાળને પગલે માત્ર 850 દર્દી નોંધાયા હતા. આ ઉપરાંત સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટના દર્દીઓની સંખ્યા પણ ઘટી. હવે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાયો તો દર્દીઓએ ફરજિયાત પણે ખાનગી હોસ્પિટલોનો સહારો લેવો પડે છે. જ્યાં તેમને દવાનો કમરતોડ ખર્ચનો બોજો સહન કરવાનો આવે છે.
           એક અખબારી અહેવાલ પ્રમાણે સરકારી ખર્ચે ભણ્યા બાદ ડૉક્ટરો ગામડાઓમાં પ્રેક્ટિસ કરવા તૈયાર હોતા નથી. ધીક્તી કમાણીને કારણે માત્રને માત્ર શહેરમાં પ્રેક્ટિસ કરે છે. તો ઊંચા પગારને કારણે ડૉક્ટરોનો કોર્પોરેટ હોસ્પિટલો તરફનો ઝોક પણ વધ્યો છે. અમદાવાદ સિવિલ, કિડની ઈન્સ્ટીટ્યુટ, યુ.એન.મહેતા જેવી હોસ્પિટલોમાં પહેલેથી જ પૂરતા પ્રમાણમાં ડૉક્ટરો નથી. ત્યારે જે ડૉક્ટરો અહીં કામ કરે છે તેઓ પણ જો હડતાળ કરે તો દર્દીઓને તકલીફ પડે જ.  ડૉક્ટરોએ વારંવાર હડતાળનો સહારો ન લેવો જોઈએ.
       હવે ડૉક્ટરોના પક્ષે પણ નજર કરીએ તો બુધવારે રાત્રે 60 વર્ષીય સાયરાબાનુને ખેંચ આવતા વી.એસમાં દાખલ કરાયા, જ્યાં ડૉક્ટરો અને નર્સ બરાબર સારવાર કરતા નથી તેવા આક્ષેપ સાથે દર્દીના સગાએ ડૉક્ટર પર હુમલો કર્યો બાદમાં ડૉક્ટરોએ કામથી અળગાં રહેવાનું નક્કી કર્યું. એક દર્દીના સગાને કારણે હોસ્પિટલના બધા જ દર્દીએ સહન કરવું પડ્યું.
         દર્દીઓના ઉશ્કેરાટના પણ યોગ્ય કારણ હશે જ. એક તો સરકારી હોસ્પિટલોમાં ગંદકીના થર હોય છે. ઝડપથી દર્દી પર ધ્યાન અપાતું નથી. અને ડૉક્ટર-નર્સ દર્દી અને તેના સગા જાણે તુચ્છ હોય તેમ વર્તન કરતા હોય છે. આ જગજાણીતી હકીકત છે.(કેટલાક અપવાદરૂપ કિસ્સા હશે જ.) હવે આવી સ્થિતિમાં પોતાનું કોઈ સ્વજન કે પ્રિયજન બીમાર હોય ત્યારે તેના સગાને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. પરંતુ તેના કારણે ડૉક્ટરોને માર મારવા અને ડૉક્ટરોએ હડતાળ કરવી તે કંઈ યોગ્ય પગલું તો નથી જ.
         આ પરિસ્થિતિ નિવારવા કાયમી ઉકેલ લાવવો જરૂરી છે. પોલીસે ડૉક્ટર પર હુમલો કરનાર ત્રણની ધરપકડ કરી અને હોસ્પિટલ મેનેજમેન્ટે પણ હડતાળિયા ડૉક્ટરો સાથે વાત કરી પણ ડોક્ટરો તેમની જીદ છોડવા તૈયાર ન હતા. અને જ્યારે તેમની સામે પગલા લેવાની વાત આવી કે તરત જ હડતાળ સમેટાઈ ગઈ
       દર્દીના સગાની ભૂલ છે જ. પરંતુ એથી કંઈ ડૉક્ટરોએ પોતાની જવાબદારી તો ન જ ભૂલવાની હોય. દર્દીઓ અને તેના પરિજનો ડૉક્ટરને ભગવાનની જેમ જોતા હોય છે. પરંતુ જીવ બચાવનાર જ જ્યારે હાથ ઉંચા કરી દે ત્યારે નિઃસહાય લોકોની પરિસ્થિતિનું શું? હાલ તો કેટલીક શરતો સાથે ડૉક્ટરોએ પોતાની હડતાળ સમેટી લીધી છે. પરંતુ ફરીવાર આવી હડતાળ નહીં થાય તેની કોઈ ખાતરી છે?
          હોસ્પિટલ મેનેજમેન્ટે ડૉક્ટરો પર હુમલા ન થાય તે માટે કોઈ વ્યવસ્થા ગોઠવવી જોઈએ. તો ડૉક્ટરો નર્સ અને હોસ્પિટલ સ્ટાફે પણ પોતાનું દર્દીઓ પ્રત્યેનું વર્તન-વલણ સુધારવા જોઈએ. તો સામે પક્ષે દર્દીના પરિજનોએ પણ ધીરજથી કામ લેવું જરૂરી છે. જો આવી આદર્શ પરિસ્થિતિ થાય અને દરેક મોરચો સચવાય તો કદાચ ફરી ડૉક્ટરો હડતાળ ન કરે. છતાંય આમાં સૌથી મોટી જવાબદારી તો ડૉક્ટરોની જ બને છે. કારણ કે, અંતે તો દર્દી તેમના ભરોસે જ હોય છે.

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...