Friday, 12 June 2020

Gulabo Sitabo Review: બે બિલાડીના ઝઘડા અને વાંદરાની વાર્તાનો લખનવી અંદાજ !


 
ડિરેક્ટરઃ શૂજિત સરકાર
કાસ્ટઃ અમિતાભ બચ્ચન, આયુષ્માન ખુરાના, વિજય રાઝ

બે બિલાડી અને વાંદરાની વાર્તા આપણે નાનપણથી સાંભળી છે. લાલચની પંચતંત્રની વાર્તાઓ પણ વાંચી છે. શૂજિત સરકારે એને એક મસ્ત અંદાજમાં રજૂ કરી છે. વાર્તા એક બુઢાઉ મિર્ઝાની છે, જેનો એક પગ કબરમાં છે. પણ એટિટ્યુડ કોઈ નવાબથી કમ નથી. બીજો છે બાંકે, જે આખા ઘરની જવાબદારી ઉપાડીને, એ જવાબદારી નીચે પોતાના સપના ઢબૂરીને જીવી રહ્યો છે. આ બે લાઈન વાંચવામાં ભલે કોઈ આર્ટ ફિલ્મ જેવી લાગે, પરંતુ શૂજિત સરકારની ટ્રીટમેન્ટ અને જૂહી ચતુર્વેદીનું રાઈટિંગ એટલું શાર્પ છે કે જોવામાં ક્યાંય બોર નથી થવાનું.

ઓટીટી પર રિલીઝ થઈ છે, એટલે ઈન્ટરવલ તો છે નહીં. પણ પહેલી 40 મિનિટ ઢીલી ઢીલી, સ્લો ચાલતી હોય એવું લાગે. પણ ફિલ્મના પાત્રો એટલા મજબૂત લખાયા છે, કે એ 40 મિનિટ પણ નીકળી જાય. ફિલ્મની સ્ટોરી તો નથી કહેવી, નહીં તો જોવાની મજા નહીં આવે. ફિલ્મની મસ્ત મસ્ત વાતો ગણીએ તો બેગમના રિએક્શન, ગુડ્ડોનો એટિટ્યુડ, મિર્ઝાની લાલચ, વિજય રાઝનો સરકારી રોફ, છેતરવા બેઠેલા વકીલની ફાંકાફોજદારી અને 30 રૂપિયા ભાડુ પણ ન આપી શક્તા બાંકેની લાચારી સરસ રીતે ઝીલાઈ છે.

ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો અંદાઝ તો શાનદાર છે જ. આ ઉંમરે પણ બિગ બી જે રીતે ચેલેન્જ લે છે તે કાબિલ-એ-દાદ છે. તો હવે આ કાનપુર-લખનઉના બેકગ્રાઉન્ડવાળી ફિલ્મો છોડી આયુષ્માન થોડુંક કંઈક બદલે તો સારુ. મિડલ ક્લાસ મેનના પાત્રમાં એને જોવો ગમે છે, પણ અતિ સર્વત્ર વર્જયેત. જો કે આ ફિલ્મમાં લખનઉ, આ શહેરનો અંદાજ અને હવેલી એ જ જાણે મુખ્ય પાત્ર છે.

શૂજિત સરકાર અને જૂહી ચતુર્વેદીની જોડીનો કમાલ છે એવા કેટલાક સીન, જેમાં કોઈ જ ડાઈલોગ વગર તમે ખડખડાટ હસી પડો. બેગમની મરવાની રાહ જોતા મિર્ઝાને જ્યારે સચ્ચાઈ ખબર પડે છે એ સીન જ લઈ લો. આ ફિલ્મની મજા જ એની વાર્તા અને એની ટ્રીટમેન્ટ છે. સાથે જ પૈસા અને કંઈક બનવાનું મહત્વ (કડવું સત્ય) પણ ક્લાઈમેક્સમાં બાંકેની ગર્લફ્રેન્ડ બતાવતી જાય છે. તો અમિતાભની એક્ટિંગ તો એક્કો છે જ. પણ વિજય રાઝે ય દર વખતે દરેક પાત્રમાં આટલા સહજ કેવી રીતે દેખાય છે? રાઝની એક્ટિંગનો રાઝ શું છે? અને બ્રિજેન્દ્ર કાલા (વકીલ) આવા પાત્રો જાણે એમના માટે જ ખાસ લખાય છે. આ ઉપરાંત બાંકેનું જનું ઝ બોલવું, ગ્યાનેશનું હિંદીના સાદા કોનની જગ્યાએ કૌન બોલવું, વાતચીતના આ લખનવી અંદાજ પર પણ ધ્યાન અપાયું છે. તો કેટલોક કટાક્ષ જોરદાર છે, જેમ કે જેસીબીની ખુદાઈ જોવા થતી ભીડ, સાધુ એ કહ્યું છે અહીં સોનું અને એ સોનું શોધવા ખાડો ખોદાય છે, તો વિજય રાઝનો ડાઈલોગ હમ સરકાર હૈ, હમે સબ પતા હૈ આ નાના કટાક્ષ પણ સ્માઈલ છોડી જાય છે.

તો સરવાળે સરેરાશ કાઢીએ તો સ્ટોરી મસ્ત છે, ટ્રીટમેન્ટ મજાની છે. એક્ટિંગમાં પણ કચાશ નથી. બસ શરૂઆતમાં થોડીક ખેંચાય છે એ તકલીફ છે. બાકી ગીતો ધ્યાનથી સાંભળશો તો એમાંય જીવનનો સાર દેખાશે, સાથે મજાય પડશે. 
હજી થિયેટર ખૂલ્યા નથી, તો મોબાઈલ કે લેપટોપ પર એકવાર તો જોઈ જ લેવાય.

Thursday, 23 April 2020

જ્યારે નહેરુના મિત્ર અને બોલીવુડના ટોચના હીરો પર લાગ્યો પાકિસ્તાની જાસૂસ હોવાનો આરોપ



એક વાક્ય આપણે હંમેશા વાપરીએ છીએ.. આ ભારત છે.. અહીં બધું જ શક્ય છે. અને કદાચ આપણા દેશમાં બનતી જુદા જુદા પ્રકારની ઘટનાઓને જોતા આ સાચુ પણ છે. ખાસ કરીને પ્રશાસનમાં કાયદાકીય વિધિઓને પગલે આવી વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે. પણ આ હેડલાઈન જે નરું સત્ય છે. આજે જેમ શાહરુખ ખાન, આમિર ખાન, સલમાન ખાન સામે વ્હોટ્સએપ યુનિવર્સિટી અને સોશિયલ મીડિયામાં સવાલો ઉઠે છે... એ શિરસ્તો બોલીવુડમાં શરૂઆતથી ચાલતો આવ્યો છે. એટલે સુધી કે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના ખાસ મિત્ર અને બોલીવુડના ટોચના એક્ટર પર પાકિસ્તાનના જાસૂસ હોવાનો આરોપ લાગ્યો હતો.

આ એક્ટર એટલે મોહમ્મદ યુસુફ ખાન.. ઉર્ફે લિવીંગ લેજન્ડ દિલીપકુમાર. જેમના આ દેશમાં કરોડોની સંખ્યામાં ફેન્સ છે. એક આખી પેઢી જેમને જોતા, જેમને અનુસરતા મોટી થઈ, જેમની પાછળ કરોડો લોકો ઘેલા હતા, એવા એક્ટર પર પાકિસ્તાની જાસૂસ હોવાનો આરોપ લાગવો એ નાની સૂની ઘટના ન હતી. એમાંય દિલીપકુમાર તત્કાલીન વડાપ્રધાન નહેરુના ખાસ મિત્ર હતા. આ મિત્રતા એટલી ગાઢ હતી કે જ્યારે દિલીપકુમારની ફિલ્મ ગંગા જમુના સેન્સરમાં અટવાઈ.. ત્યારે નહેરુની મદદથી તેને સર્ટિફિકેટ મળ્યુ. બાદમાં નહેરુના કહેવા પર નોર્થ બોમ્બેની સીટ પર વી કે ક્રિષ્ના મેનન માટે કેન્વાસિંગ પણ કર્યુ હતુ.  એટલું જ નહીં દિલીપકુમારે પોતાની ઓટોબાયોગ્રાફી ધ સબસ્ટેન્સ એડ ધ શેડોમાં લખ્યા પ્રમાણે એકવાર વડાપ્રધાન નહેરુ દિલીપકુમારને મળવા તેમની ફિલ્મના સેટ પર પહોંચી ગયા હતા. ઘટના 1959ની છે, જ્યારે મદ્રાસમાં ફિલ્મ પૈગામનું શૂટિંગ ચાલતુ હતું.  ત્યારે અચાનક જ પીએમ નહેરુ દિલીપકુમારને મળવા પહોંચી ગયા હતા અને દિલીપકુમારના ખભે હાથ મૂકીને કહ્યું હતું,યુસુફ મને ખબર પડી કે તમે અહીં શૂટિંગ કરો છો, એટલે હું મળવા આવી ગયો. બીજો એક કિસ્સો દિલ્હીમાં એક કલ્ચરલ ઈવેન્ટ હતી.. જેમાં વૈજયંતિમાલા પર્ફોમર ઓફ ઈવનિંગ હતા. નહેરુ પીએમ તરીકે બધા કલાકારોને લાઈનમાં મળતા હતા.. ત્યારે વૈજયંતીમાલાને મળવાના જ હતા.. અને અચાનક તેમની નજર દિલીપકુમાર પર પડી. પછી વૈજયંતી પણ રહ્યા અને બીજા કલાકારો પણ રહ્યા નહેરુ સીધા જ દિલીપ કુમાર પાસે પહોંચી ગયા.  આટલા ગાઢ સંબંધો વચ્ચે જ્યારે દિલીપકુમાર પર પાકિસ્તાનના જાસૂસ હોવાના આરોપ લાગ્યા, ત્યારે દેશ આખામાં ચર્ચા થવી સ્વાભાવિક હતી. 



        જો કે એ આખી ઘટના જાણતા પહેલા બીજી કેટલીક મહત્વની બાબતો જાણવી જરૂરી છે. પહેલો મુદ્દો દિલીપકુમારનો જન્મ પાકિસ્તાનમાં આવેલા પેશાવરમાં થયો છે. બીજી બાબત દિલીપકુમારનું સાચુ નામ મોહમ્મદ યુસુફ ખાન છે. દિલીપકુમાર નામ તેમને ફિલ્મોમાં આવતા પહેલા દેશમાં સર્વસ્વીકૃત થવા માટે આપવામાં આવ્યુ હતું. જ્યારે દિલીપકુમારનો બોલીવુડ ડેબ્યુ થવાનો હતો ત્યારે બોમ્બે ટોકીઝના માલિક અને પ્રોડ્યુસર દેવિકા રાનીએ કહ્યું,યુસુફ મને લાગે છે, તમારે કોઈ સ્ક્રીન નેમ અપનાવવું જોઈએ. આ વાતથી દિલીપકુમાર ચોંકે તે પહેલા જ દેવિકારાનીએ તેમને દિલીપ નામ સજેસ્ટ કર્યુ. અને 1943માં યુસુફ દિલીપકુમાર બની ગયા.

ત્રીજી વાત અભિનેતા બનતા પહેલા યુસુફ ઉર્ફે દિલીપકુમાર પૂણેમાં એરફોર્સ કેન્ટીનમાં મેનેજ તરીકે કાર્યરત હતા. અને ત્યાં બ્રિટિશર્સ વિરુદ્ધ બોલવાના કારણે તેમની ધરપકડ થઈ અને યરવડા જેલમાં પૂરવામાં આવ્યા. આ કામ માટે દિલીપકુમારને જેલમાં તો એક જ રાત ગુજારવી પડી. પરંતુ આ એક રાત દરમિયાન તેમને ખબર પડી કે જેલમાં સરદાર વલ્લભભાઈ પટેલ પણ છે અને તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ ઉપવાસ કરી રહ્યા છે, તો દિલીપકુમાર ઉર્ફે યુસુફે પણ બધા સાથે ઉપવાસ કર્યો.
       
આ મુદ્દા એટલા માટે કે આના પરથી આપણે દિલીપકુમારનું વ્યક્તિત્વ સમજી શકીએ. એક સ્ટાર અભિનેતા હોવા ઉપરાંત દિલીપકુમારના મનમાં દેશભક્તિની ભાવના હશે તેવું આપણે યરવડા જેલની ઘટના પરથી માની શકીએ. જો કે યુસુફમાંથી દિલીપ બનેલા પેશાવરમાં જન્મેલા અભિનેતાની આ વાત પણ દેશ ભૂલ્યો નહોતો. કદાચ એના પરિણામો તેમણે આગળની જિંદગીમાં ભોગવવા પડ્યા.
       
ગંગા જમુના રિલીઝ થયા બાદ અચાનક કલકત્તા પોલીસે દિલીપકુમારના મુંબઈ સ્થિત ઘરે રેડ પાડી, અને આરોપ હતો દિલીપકુમારના પાકિસ્તાની જાસૂસ હોવાનો. આ ઘટના સાથે જ આખા દેશમાં તહેલકો મચી ગયો. ઘટના કંઈક એવી હતી કે કલકત્તા પોલીસે એક પાકિસ્તાની જાસૂસને પકડ્યો હતો, જેની ડાયરીમિં દિલીપકુમાર સહિત ઘણા સેલિબ્રીટીનાઝ નામ હતા. પોલીસે દિલીપકુમારની ધરપકડ કરવાની વાત પણ કરી. આ વાતે ખૂબ જ ચર્ચા જગાવી.. મહિનાઓ સુધી અફવાઓ ઉડી. સાથે જ લોકોને દિલીપકુમારના પાકિસ્તાની કનેક્શન યાદ આવી ગયા. અને ચર્ચાને અફવાને કોઈનો અંકૂશ નથી હોતો. એવું પણ ચર્ચાયુ કે દિલીપકુમારના ઘરેથી પોલીસે રેડિયો ટ્રાન્સમીટર ઝડપી પાડ્યુ છે... દિલીપકુમારે આ વાત સ્વીકારી હોવાની પણ ચર્ચા થઈ  છેલ્લે પોલીસે પુરાવાના અભાવે કેસ પડતો મુકાયો. પરંતુ આ વાતથી દિલીપકુમારને ખૂબ જ ઠેસ પહોંચી હતી.
        


અહીં રસપ્રદ અને જાણવા જેવી વાત એ છે કે દિલીપકુમારનું વલણ મોટા ભાગે કોંગ્રેસ તરફી રહ્યું છે. નહેરુ, કોંગ્રેસના રજની પટેલ, શરદ પવાર મિત્ર હતા.તો સામે હિન્દુહ્રદયસમ્રાટનું બિરુદ પામેલા  બાલાસાહેબ ઠાકરે સાથે પણ સારા સંબંધ હતા. બંને 1966માં શિવસેનાની રચના પહેલા બંને મળ્યા હતા. અને બંને વચ્ચે કોમન ગુણ આર્ટિસ્ટનો હતો. દિલીપકુમાર એક્ટર અને બાલા સાહેબ કાર્ટૂનિસ્ટ હતા, જેને પરિણામે બંને વચ્ચે સારી મિત્રતા થઈ. જો કે પાકિસ્તાને નિશાને ઈમ્તિયાઝ પુરસ્કાર આપ્યો ત્યારે બાલાસાહેબે વિરોધ કર્યો.. અને બંનેના સંબંધો વણસ્યા હતા.
        ધર્મના કારણે દિલીપકુમારને પોતાના જીવનમાં આવી ઘણી ઘટનાઓ સહન કરવી પડી. જો કે ભારતીય સમાચાર માધ્યમોમાં પાકિસ્તાની જાસૂસ હોવાનો મુદ્દો સૌથી વધુ ચર્ચા હતો.

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...