રાજકોટ જેટલું ફેમસ તેની બપોરની 12થી 4ની ઉંઘ માટે છે,
તેટલું જ ફેમસ પાન માવા માટે પણ છે. અને હવે રાજકોટમાં એક એવું પાન હાઉસ
ખુલ્યુ છે, જે પાન મસાલા આપતા પહેલા ગ્રાહકોને ચેતવણી આપે છે. જો તમે
રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલા આ પાન હાઉસ પર પહોંચો તો સૌથી પહેલા તો
દુકાનનું નામ જ છે કેન્સર પાન હાઉસ. આ પાન હાઉસની થીમ જ એવી ડરામણી રખાઈ
છે, જે તમને ગુટખા ખાવાના ગેરફાયદા દર્શાવે છે. દુકાનની અંદર દરેક જગ્યાએ
હાથકડી, ખોપડીઓ લગાવીને સ્કેરી હાઉસ જેવો માહોલ ઉભો કરાયો છે.
પાન મસાલા આપતા પહેલા અપાય છે ચેતવણી
કેન્સર પાન હાઉસ હવે આખા રાજકોટમાં ફેમસ થઈ ચૂક્યુ છે. આ પાન હાઉસ ચલાવે
છે મોહિત પોપટ નામના વ્યક્તિ. પોતાના આ વિચિત્ર પાન હાઉસ વિશે વાત કરતા
મોહનભાઈ કહે છે કે લોકોને પાન ગુટખા ખાવાથી થતા નુક્સાનની માહિતી મળે એટલા
માટે અમે આ થીમ રાખી છે. અમારી દુકાનમાં લોકો આવે તેમને પાન મસાલા કે ફાકી
આપતા પહેલા ચેતવણી આપવામાં આવે છે કે આ ખાવાથી તમને કેન્સર થઈ શકે છે. તેમ
છતાંય જો તે ન માને તો જ પાન મસાલા આપવામાં આવે છે.
15-20 કસ્ટમર છોડી ચૂક્યા છે આદત
મોહિત પોપટના કહેવા પ્રમાણે આમ કરવાથી તેમના 15-20 કસ્ટમર પોતાની પાન
મસાલા ખાવાની આદત છોડી ચૂક્યા છે. અને મોહિતભાઈ હજી વધુ લોકો પાન મસાલા
છોડે તે માટે પ્રયત્નશીલ છે. આ માટે તેમને અન્ય ઓપ્શન પણ આપવામાં આવે છે.
જેમાં કેસર, રોઝ, પાઈનેપલ, ગ્રીન ગોલ્ડ, સ્ટ્રોબેરી, રાતરાણી અને નવરત્ન
જેવા અવનવી ફ્લેવરના પાન આપવામાં આવે છે. મીઠી ફાકીમાં પણ મિન્ટ વિનાના
મધના અલગ - અલગ ફ્લેવરના પાવડર નાખવામાં આવે છે.
500 લોકોને વ્યસન છોડાવવાનો ટાર્ગેટ
મોહિતભાઈ મૂળ ઓટો કન્સલટન્ટ છે. પરંતુ તેમના એક મિત્રના મામાને કેન્સરની
બીમારી હતી. મિત્રો સાથે આ ચર્ચા દરમિયાન જ મોહિતભાઈને કંઈક કરવાનો વિચાર
આવ્યો અને કેન્સર પાન હાઉસનો જન્મ થયો. મોહિત ભાઈ કહે છે કે તેમને 500
લોકોને વ્યસન છોડવવાનો ટાર્ગેટ છે. મોહિતભાઈના પરિવારમાં કોઈને કોઈ જ
પ્રકારનું વ્યસન નથી. મોહિતભાઈના ગ્રાહકો પણ તેમના આ પ્રયાસને બિરદાવે છે.
જો કે ખૂબ ઓછા ગ્રાહકો આ વ્યસન છોડી શકે છે.
સુરેશ રાજડા, આ નામ ગુજરાતી નાટકો, રંગભૂમિના તખ્તા પર
અજાણ્યું નથી. જો તમે ગુજરાતી અખબારોમાં નાટકની જાહેરાતો જોતા હશો તો તમે
અનેક નાટકોમાં 'સુરેશ રાજડા લિખિત-દિગ્દર્શિત' આ શબ્દો જરૂર વાંચ્યા હશે.
એક આખી પેઢી સુરેશ રાજડાના નાટકો જોઈને મોટી થઈ છે. ફક્ત દર્શકો જ નહીં,
આજના જાણીતા સેલિબ્રિટી કલાકારોની એક પેઢી પણ છે, જેમણે કરિયરની શરૂઆતમાં
સુરેશ રાજડાના નાટકોમાં કામ કર્યું છે.
170 કરતા વધુ નાટકો સુરેશભાઈ ડિરેક્ટ કરી ચૂક્યા છે. અને અંદાજે 60
જેટલા નાટકો તેમણે લખ્યા છે. જો તેમના હિટ નાટકોની યાદી કરીએ તો 2-4 ફકરા
થઈ જાય, પરંતુ તેમ છતાંય તેમના સૌથી જાણીતા નાટકોની વાત કરીએ મેરેજ
ફિક્સિંગ, સખણાં રહેજો રાજ, કુંવર વહેલા રે પધારજો અને હોનારત આ નામ તો
મૂકવા જ પડે. તેમના લખેલા કેટલાક નાટકો આજે પણ તખ્તા પર ભજવાય છે. જો કે
હાલ તો ઉંમરને કારણે તેમના કામને થોડીક અસર પહોંચી છે. પરંતુ આ કલાકારને
પોતાની રંગભૂમિ માટે કામ કરતા ઉંમર પણ રોકી શકી નથી.
પોતાની કરિયરને યાદ કરતા સુરેશ રાજડા કહે છે કે મારી કરિયરની શરૂઆત આમ
તો એક્ટર તરીકે થઈ હતી. જી ટી હાઈસ્કૂલમાં સ્કૂલિંગ કર્યા બાદ હું જૈન
કોલેજમાં ગ્રેજ્યુએશન કરતો હતો. ત્યારે તે જમાનાના જાણીતા એક્ટર ડિરેક્ટર
પ્રવીણ જોશી એ જ કોલેજમાં રિહર્સલ કરતા. પ્રવીણ જોશી તે સમયે INTના
ડિરેક્ટર હતા. હું પણ કોલેજમાં એકાંકીઓમાં ભાગ લેતો. એટલે મને એક્ટિંગમાં
અને નાટકમાં પહેલેથી જ રસ ખરો. હવે હું પ્રવીણ જોશીના નાટકના રિહર્સલમાં
આખો દિવસ બેસી રહેતો. તેઓ જે કામ આપે એ કરતો. પણ એ તો એમના કામમાં વ્યસ્ત
હોય. આખરે એક દિવસ નસીબ જોગે એમના નાટકમાં રિપ્લેસમેન્ટ આવ્યું. આ નાટકમાં
દીના પાઠક જેવા દિગ્ગજ અભિનેત્રી અને ખુદ પ્રવીણ જોશી એક્ટિંગ કરતા હતા.
નાટકની અમદાવાદની ટૂરમાં એક કલાકાર જઈ શકે એમ નહોતો. એટલે પ્રવીણભાઈને કોઈએ
કહ્યું કે આ છોકરો જે રિહર્સલમાં બેસી રહે છે, એ પણ એક્ટિંગ કરે છે. એટલે
પ્રવીણભાઈએ મને મળવા બોલાવ્યો, અને કહ્યું કે કેટલા દિવસમાં તૈયાર થઈશ. મેં
જવાબ આપ્યો અર્જન્ટ જરૂર હોય તો કાલે જ. બસ એ ઈમ્પ્રેસ થઈ ગયા અને રોલ મળી
ગયો. આ જ નાટકમાં મારી એક્ટિંગ નોટિસ થઈ અને યાત્રા શરૂ થઈ ગઈ.
સુરેશ રાજડા 35 વર્ષ સુધી INTના જુદા જુદા નાટકોમાં એક્ટિંગ કરી ચૂક્યા
છે, સંખ્યાબંધ નાટકો ડિરેક્ટ કરી ચૂક્યા છે. ડિરેક્ટર તરીકે પણ તેમને જે
બ્રેક મળ્યો તે પણ આકસ્મિક જ હતો. INTએ એકાંકી સ્પર્ધાના કલાકારોને લઈ એક
નાટક ભજવવાનું નક્કી કર્યું અને ડિરેક્ટર રીકે સુરેશભાઈને પસંદ કરાયા. આ
નાટક હતું વેંટ છેટું મોત. જેની સ્ટારકાસ્ટમાં હતા આજના જાણીતા એક્ટર્સ
પરેશ રાવલ અને સિદ્ધાર્થ રાંદેરિયા. પહેલા જ ડિરેક્ટ કરેલા નાટકને પ્રાઈઝ
મળ્યું અને સુરેશભાઈ ડિરેક્ટ તરીકે પણ પંકાઈ ગયા. પછી તો સુરેશભાઈ પરેશ
રાવલ, સરિતા જોષી, પદ્મારાણી, રોહિણી અટંગણી, રીમા લાગુ, કેતકી દવે,
સિદ્ધાર્થ રાંદેરિયા, જતીન કણકીયા, ટીકુ તલસાણિયા જેવા શાનદાર કલાકારોને પણ
અનેક નાટકોમાં ડિરેક્ટ કર્યા. જો કે ભાષા પર પ્રભુત્વના કારણે તેમણે
પાછળથી નાટકો લખવાની પણ શરૂઆત કરી. અને તેમણે લખેલા નાટકો પણ હિટ રહ્યા.
સુરેશ રાજડા માને છે કે માત્ર નાટકો લખીને કે નાટકો ભજવીને અથવા ડિરેક્ટ
કરીને તેમણે રંગભૂમિ માટે કોઈ ખાસ કામ કર્યું નથી. એટલે જ તેઓ તખ્તા માટે
એક આખી ભાવિ પેઢી તૈયાર કરી રહ્યા છે. સુરેશ રાજડાએ જાણે ગુજરાતી નાટકોને
સારા કલાકારો આપવા માટે ભેખ લીધો છે. તેઓ મુંબઈમાં દર વર્ષે એક વર્કશોપ
યોજે છે. જેમાં નાટકના જુદા જુદા પાસાં સમજવા અને શીખવા ઈચ્છતા લોકોને
નિશુલ્ક તાલીમ આપવામાં આવે છે. એ પણ 10 દિવસ સુધી રોજ સવારે 9થી સાંજના 5
વાગ્યા સુધી. અને આ વર્કશોપમાં દિગ્ગજ કલાકારો સિદ્ધાર્થ રાંદેરિયા, અપરા
મહેતા, કૌસ્તુભ ત્રિવેદી, સંજય ગોરડિયા, પ્રવીણ સોલંકી, સંજય છેલ જેવા
માંધાતાઓ આવીને તાલીમ આપે છે.
સુરેશભાઈ આ વર્કશોપ વિશે વાત કરતા કહે છે કે INTએ મને ડિરેક્શનનો વધુ
અભ્યાસ કરવા માટે લંડન મોકલ્યો. એ પછી મને લાગ્યું કે આપણી રંગભૂમિને હજી
વધુ સમૃદ્ધ કરવાની જરૂર છે. એટલે જ મેં આ ફ્રી વર્કશોપની શરૂઆત કરી.
સુરેશભાઈની આ વર્કશોપ પણ ગુજરાતી રંગભૂમિને કેટલાક જાણીતા કલાકારો આપી ચૂકી
છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દયાભાભી ઉર્ફે દિશા વાકાણી પણ આવી જ
વર્કશોપમાં એક્ટિંગની તાલીમ લઈ ચૂક્યા છે. આ વખતે પણ તેમની વર્કશોપ ટૂંક
સમયમાં જ શરૂ થવા જઈ રહી છે.
13 ગુજરાતીઓની હિંમતને સલામ લદ્દાખ... અહીં રોડ ટ્રિપ કરવી કે પછી ટ્રેકિંગમાં જવું એ
હવે બધાના વિશલિસ્ટમાં સામેલ હોય છે. પરંતુ ખૂબ ઓછા લોકો પોતાની આ વિશ પૂરી
કરી શકે છે. જો કે લદ્દાખને વિશ લિસ્ટમાં મૂકવું જેટલું સહેલું છે, એટલું
સહેલું ત્યાં જઈને ટ્રેકિંગ કરવું નથી. કારણ કે અત્યંત ઠંડીમાં સર્વાઈવ
કરવું, ટ્રેકિંગ કરવું એ ખાવાના ખેલ નથી. લદ્દાખમાં ટ્રેકિંગ કરવા માટે
સૌથી ફેમસ છે ચાદર ટ્રેક. લદ્દાખમાં આવેલો ચાદર ટ્રેક એ કોઈ પહાડો પર થતું
ટ્રેકિંગ નથી, પરંતુ થીજી જતી નદીની સપાટી પર થતું ટ્રેકિંગ છે.
ક્યાં આવ્યો છે ચાદર ટ્રેક ?
લદ્દાખમાં આવેલી ઝેન્સકાર નદીનું પાણી જાન્યુઆરીથી ફેબ્રુઆરીની વચ્ચે
થીજી જાય છે, એટલે તેના પર ટ્રેકિંગ કરાવવામાં આવે છે. વર્લ્ડટ્રેઝર -
ટ્રેઝર ટ્રન્ક ઓફ નેચર કંપનીના પ્રણવ ગોધાવિયા કહે છે કે નીચે પાણી વહેતું
હોય છે અને ઉપર બરફની ચાદર છવાઈ જાય છે, એટલે જ તેનું નામ ચાદર ટ્રેક
પડ્યું છે. અને તેના પર જ થાય છે ટ્રેકિંગ. જરા વિચાર કરો માઈનસ 20થી 25
ડિગ્રી તાપમાન, ચારે બાજું બરફ જ બરફ અને બરફની ચાદર પર ટ્રેકિંગ. વિચારીને
જ થડકી જવાય પરંતુ દર વર્ષે હજારો લોકો અહીં થ્રિલીંગ એક્સપિરીયન્સ લેવા
પહોંચે છે.
વાત 13 ગુજરાતીઓની
2019ની શરૂઆતમાં 13 ગુજરાતીઓ પણ પહોંચ્યા. વર્લ્ડ ટ્રેઝરના પ્રણવ
ગોધાવિયા પોતાની 12 ટ્રેકર્સની ટીમ સાથે પહોંચ્યા હતા, અને દરેક ટીમ મેમ્બર
ઉત્સાહિત હતા આ નવા અનુભવ માટે. ટીમમાં સામેલ હતા તનિષ્ક શર્મા, રાજન
લાડવા, જયકિશન વાંસદાવાલા, રાજેશ પટેલ, પ્રકાશ પટેલ, હિતેક્ષા પટેલ, દિપીકા
ખુમાણ, હીરલ રાણા, સંજય બેન્કર, પ્રશાંત સિંહ, જિમી પટણી અને અમિત જોશી.
જો કે કોઈને નહોતી ખબર એ ચાદર ટ્રેકનું ટ્રેકિંગ તેમના માટે જીવ સટોસટના
ખેલ સમાન સાબિત થવાનું છે. પ્રણવ ગોધાવિયાએ 75 કિલોમીટરના ટ્રેક પર પોતાની
ટીમ અને ગાઈડ સાથે ચાલવાનું શરૂ કર્યું. શરૂઆત હસી ખુશી સાથે થઈ. તમામ લોકો
ઉત્સાહિત હતા, કારણ કે આ એક્સપિરિયન્સ તમામ માટે નવો હતો. પરંતુ આગળ અડચણો
અને મુસીબતો તેમની રાહ જોઈ રહી હતી.
અચાનક બગડ્યું હવામાન
-20 ડિગ્રીમાં આખી ટીમનો પહેલો દિવસ તો શાંતિથી પૂર્ણ થઈ ગયો. બરફની
ચાદર પણ બરાબર હતી અને સહેલાઈથી પહેલા દિવસનું અંતર આખી ટીમે કાપી લીધું.
પરંતુ બીજા દિવસથી મુસીબતો જાણે લાઈન લગાવીને આવી. પ્રણવ ગોધાવિયા કહે છે
કે આવી સ્થિતિમાં ઓક્સિજન અને ટેમ્પરેચર બે મુશ્કેલી મોટી હોય છે. સામાન્ય
રીતે ચાદર ટ્રેક પર તાપમાન -20 ડિગ્રી હોય છે, ક્યારેક -30 પહોંચે. પરંતુ
અમે પહોંચ્યા ત્યારે તાપમાન -40 ડિગ્રી હતું. આ જ મોટો પડકાર હતો. 11,500
ફૂટની ઉંચાઈ પર ઓક્સિજન પણ ઓછો. એટલે ચાલવામાં મુશ્કેલી પડે. એમાંય અમારી
પર જાણે કુદરત કોપી હોય તેમ અચાનક હવામાન બગડ્યું અને તાપમાન ઉપરનીચે થવા
લાગ્યું. જેને કારણે બરફ પીગળવાની શરૂઆત થઈ. જ્યારે આખી ટીમ બરફની ચાદર પર
ચાલી રહી હતી ત્યારે જ બરફ પીગળ્યો. સ્થિતિ એવી થઈ કે આગળ વહેતી નદી હતી
અને પાછળ બરફ. એટલે બરફની ચાદર પર રોકાઈ શકાય તેમ પણ નહોતું.
4 કિલોમીટર સુધી પાણીમાં ચાલવું પડ્યું
આ અનુભવ યાદ કરતા પ્રણવ ગોધાવિયા કહે છે કે અમારા માટે આ મુશ્કેલી મોટી
હતી હજી ટ્રેકનો બીજો જ દિવસ હતો અને બરફ પીગળી રહ્યો હતો. અમે અધવચ્ચે
હતા. ટીબકેવ નામની જગ્યાએ ફસાઈ ગયા હતા. આગળ વહેતું પાણી હતું. જો કે
ગાઈડની મદદથી અમે સહીસલામત બહાર નીકળ્યા પરંતુ લગભગ 4 કિલોમીટર સુધી
પાણીમાં ચાલીને બહાર નીકળવું પડ્યું. પરિણામે બધાના પગલ લાલ થઈ ગયા અને
થીજી ગયા. જો કે મુશ્કેલીની આતો શરૂઆત હતી. આ રીતે ટ્રેકનો બીજો દિવસ પૂરો
થયો. અને ત્રીજા દિવસે આગળ ચાલવાની શરૂઆત કરી. ટીબકેવથી આગળ ચાલવાની શરૂઆત
કરી.
પ્રણવ ગોધાવિયાના જ શબ્દોમાં જાણીએ તો જો કે આગળ હવે મુશ્કેલી એ હતી કે
બરફની ચાદર અત્યંત પાતળી હતી. એટલે તેના પર ચાલો અને જો ચાદર તૂટે તો સીધા જ
પાણીમાં પડો. હવે જો ચાદર તૂટે અને પાણીમાં પડો તો -30થી -40 ડિગ્રી ઠંડા
પાણીમાં પડો એટલે મૃત્યુ નક્કી થઈ જાય. અમારે પહોંચવાનું હતું વોટરફોલ સુધી
જે એન્ડ પોઈન્ટ હતો અને ચોથા દિવસે ત્યાંથી પાછા આવવાનું હતું. પરંતુ
અમારે જ્યાં નદી ક્રોસ કરવાની હતી ત્યાં બરફની ચાદર પાતળી હતી. ધીરે ધીરે
અમે આગળ વધ્યા અને માંડ સામે પહોંચ્યાં ત્યાં તરત જ બરફનો આખ સ્લેબ તૂટી
ગયો. જો અમે 2 મિનિટ પણ મોડા હોત તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હોત.
ટીબકેવ પર ફસાઈ આખી ટીમ
આખી ટ્રેકિંગ ટીમ માટે પાછા ફરવું પણ ચેલેન્જ હતું એટલે માત્ર ટીમના 4 જ
લોકો વોટર ફોલના એન્ડ પોઈન્ટ સુધી જઈ શક્યા. અને પાછા ફરવાનો નિર્ણય લેવો
પડ્યો. પણ પાછા આવવામાં ફરી એ જ મુશ્કેલી હતી કે બરફના સ્લેબ તૂટી રહ્યા
હતા. ચાલવાની જગ્યા નહોતી. ચોથા દિવસે પાછા આવવાનું પ્લાનિંગ હતું એટલે
ટીમે વધુ ખોરાક પણ કેરી નહોતો કર્યો. પરિસ્થિતિ એવી હતી કે ચારેય બાજુથી
ફક્ત મુસીબત જ હતી. સર્વાઈવ કેવી રીતે કરવું એ એક સવાલ હતો. આખરે પાણીમાં
ચાલવાનું નક્કી થયું.
ગાઈડ અને ગ્રુપ લીડર સહિત તમામ લોકોએ ચોથા દિવસે જ પાછા ફરવાનું શરૂ
કર્યું. લગભગ 6થી 7 કિલોમીટર ફરી થીજી જવાય એવા પાણીમાં ચાલ્યા અને આગળ
બરફની ચાદર મળી. બરફની ચાદર જોતા જ ટીમના તમામ સભ્યોએ રાહતનો શ્વાસ લીધો જો
કે મુસીબત હજી સમાપ્ત નહોતી થઈ. આ ચાદર નવી જ બનેલી હતી. એટલે એવી લિસ્સી
હતી કે ધ્યાન ન રાખો તો લપસી જવાય. અને થયું પણ એવું જ. ટીમના એક સભ્ય
પ્રકાશ પટેલ લપસ્યા અને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. નેટવર્ક પણ નહીં કે મદદ
બોલાવી શકાય. એટલે એક તરફ હાડ થીજાવતી ઠંડી, બરફ પીગળવાનો ડર, રોકાવાની કોઈ
સગવડ નહીં, જોડે ખોરાક પણ નહીં અને એક ઈન્જર્ડ ટીમ મેમ્બર સાથે તમામ લોકોએ
સહીસલામત પાછા આવવાનું હતું. આખરે પ્રકાશ પટેલના ફ્રેક્ચરવાળા હાથ સાથે જ
બધાની મદદથી આગળ ચાલવાનો નિર્ણય લેવાયો અને 7 કિલોમીટર ચાલીને સેફ સાઈટ
સુધી પહોંચ્યા. પ્રકાશ પટેલે આ 7 કિલોમીટર દર્દ સહન કરતા કરતાં જ કાપ્યા.
જો કે આખરે સેફ સાઈટ પર પહોચ્યા ત્યારે આટ આટલી મુસીબતો છતાંય જીવ
બચાવીને પાછા આવવાનો આનંદ હતો. અન તેનાય કરતાંય વધુ ખુશી હતી જિંદગીનો એક
અદભૂત અનુભવ કરવાનો. જીવ સટોસટની બાજી ખેલવાનો.
દર વર્ષે મૃત્યુ પામે છે 5-6 ટ્રેકર્સ
આ ચાદર ટ્રેકનું ટ્રેકિંગ સહેલું નથી. કારણ કે દર વર્ષે આ ટ્રેક પર 5થી 6
લોકો મૃત્યુ પામે છે. એટલે હવે સરકાર પણ ટૂંક સમયમાં આ ટ્રેક બંધ કરી શકે
છે. ગ્લોબલ વોર્મિંગના કારણે બરફ ઝડપથી પીગળી રહ્યો છે. ત્યારે ચાદર ટ્રેક
પર ટ્રેકિંગ ગમે ત્યારે બંધ થઈ શકે છે. પરંતુ સલામ આ 13 ગુજરાતીઓની હિંમતને
જેમણે જાતને હોડમાં મૂકીને કુદરતના ખોળે આટલો સમય ગાળ્યો.
ક્રિકેટના ભગવાન, લિટલ માસ્ટર, માસ્ટર બ્લાસ્ટર આવા કેટલાંય
વિશેષણો જેને મળેલા છે તે પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનો આજે જન્મદિવસ
છે. સચિન આજે પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સચિનની ક્રિકેટિંગ
સ્કીલ્સ, રેકોર્ડસ વિશે તમામ લોકો જાણતા હશે. જો કે સચિનના સ્વભાવ વિશે પણ
ચર્ચા થતી રહે છે. સચિન ખૂબ જ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે અને તેમના આ
સ્વભાવનો પરચો ઘણા લોકોને મળ્યો છે. કહેવાય છે કે સચિન ભાગ્યે જ ગુસ્સે થાય
છે.
અમદાવાદમાં જ્યારે સચિન થયો હતો ગુસ્સે
અમદાવાદમાં એક ઘટના એવી બની હતી જ્યારે સચિન ગુસ્સે થઈ ગયા હતા. સચિને
પોતાના સ્વભાવથી વિપરીત ગુસ્સો જરૂર કર્યો હતો. આ ઘટના 2011ની છે.
અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની મેચ હતી.
અમદાવાદમાં જ્યારે જ્યારે મેચ હોય છે ત્યારે ડ્રેસિંગ રૂમમાં દર વખતની જેમ
સચિનની સાથે રાજુભાઇ વાઘેલા હોય છે. પરંતુ વર્લ્ડ કપની આ મેચમાં ભારતના
ડ્રેસિંગ રૂમમાં રાજુભાઇ ન હતા. સચિને પ્રેક્ટિસ વખતે જ જોયું કે આ વખતે
રાજુભાઈ નથી. લિટલ માસ્ટરે તાત્કાલિક સ્ટેડિયમના લાગતા વળગતા અધિકારીઓને
બોલાવ્યા અને પૂછ્યું કે રાજુભાઈ ક્યાં છે. અધિકારીઓ પાસે પણ જવાબ ન હોતો.
કારણ કે આ વખતે ગુજરાત ક્રિકેટ એસોશિએશન (GCA) દ્વારા રાજુભાઈને કામ માટે ન
હતા બોલાવાયા. રાજુભાઈ વાઘેલાના બદલે ડ્રેસિંગ રૂમમાં અન્ય છોકરાને કામે
રાખવામાં આવ્યો હતો.
રાજુભાઇએ ગુજરાતી મિડડે.કોમ સાથે કરી ખાસ વાત
સચિને તાત્કાલિક રાજુભાઈને ડ્રેસિંગ રૂમમાં રાખવા માટે ડિમાન્ડ કરી.
રાજુભાઈ આ કિસ્સો હજી યાદ કરે છે. રાજુ ભાઈ કહે છે કે સચિનને મારી સાથે
એટલું ફાવતું હતું કે તેમણે આખું સ્ટેડિયમ ઉંચું નીચું કરી નાખ્યું.
અધિકારીઓને દોડતા કરી દીધા. તાત્કાલિક ફોન નંબર શોધીને મને કરી ડ્રેસિંગ
રૂમમાં ડ્યુટી પર ગોઠવી દેવાયો. આજે પણ આ ઘટના યાદ કરતા રાજુભાઈ ખુશ ખુશાલ
થઈ જાય છે. મૂળે અમદાવાદના રાજુભાઈ વાઘેલા આકાશવાણીમાં કામ કરે છે. પરંતુ
જ્યારે જ્યારે મોટેરામાં મેચ હોય ત્યારે ત્યારે તેઓ જીસીએ તરફથી ડ્રેસિંગ
રૂમની ડ્યુટી પર જતા. લગભગ 22 વર્ષથી રાજુભાઈ મોટેરાનો ડ્રેસિંગ રૂમ સંભાળે
છે.
પોતાની સાથે કામ કરવા ઓફર આપી ચૂક્યા છે સચિન
રાજુભાઈ કહે છે કે 1983થી હું સ્ટેડિયમમાં ડ્યુટી પર જતો. આટલા વર્ષોથી
કામ કરતા હોવાને કારણે મને કપિલ દેવથી લઈને અત્યારના ખેલાડીઓ પણ ઓળખે છે.
જો કે સચિન સાથે મારે ઘર જેવો સંબંધ છે. મારી પહેલી મુલાકાત પણ મોટેરાના
ડ્રેસિંગ રૂમમાં જ થઈ હતી. ત્યારથી સચિનને મારું કામ એટલું ફાવી ગયું કે
તેમને મારા વગર ચાલતું જ નહીં. સચિન તેંડુલકર સમયાંતરે રાજુભાઈ માટે ગિફ્ટ
પણ લેતા આવતા હતા. એટલે સુધી કે સચિન તેંદુલકર રાજુભાઈને મુંબઈ પોતાની સાથે
કામ કરવા પણ આમંત્રણ આપી ચૂક્યા છે. ફક્ત સચિન જ નહીં પૂર્વ ક્રિકેટર
વિકેટકીપર કિરણ મોરે અને કપિલ દેવ પણ રાજુભાઈને પોતાની સાથે કામ કરવા ઓફર
આપી ચૂક્યા છે.
સચિન સાથે આટલી ઓળખાણ હોવા પાછળ રાજુભાઈ સચિનના સ્વભાવને શ્રેય આપે છે.
રાજુભાઈ કહે છે કે સચિનનો સ્વભાવ ખૂબ જ સારો છે. સેલિબ્રિટી હોવા છતાંય
જરાય એટિટ્યુટ નથી. ક્યારેક ભૂલ થઈ જાય તો પણ ગુસ્સે નથી થતા. મને એમનો
સ્વભાવ પહેલેથી જ ખૂબ ગમે છે. રાજુભાઈ આજે પણ આકાશવાણીમાં કામ કરે છે. 55
વર્ષની ઉંમરે તેમની પાસે મૂડીમાં સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ક્રિકેટરની
યાદો છે, જેને તે યાદ કરીને ગર્વ લે છે.
લોકસાહિત્ય ભૂલાતું જતું હોવાની ચર્ચાઓ થાય છે, પરંતુ તેને બચાવવા
પ્રયત્નો ઓછા થાય છે. સોરઠના કે કચ્છના વિસ્તારો સિવાય હવે ડાયરાની સંખ્યા
ઘટી છે. ત્યારે વાંચો એક એવા ડોક્ટરની વાત તે વ્યવસાય મૂકીને લોકસાહિત્યની
વાતો લોકો સુધી પહોંચાડે છે.
ડૉ. રણજીત વાંક (Image Courtesy: Facebook)નામ છે એમનું ડૉક્ટર રણજીત વાંક. યુટ્યુબ પર સર્ચ કરશો તો
હજારોની સંખ્યામાં તેમના વીડિયો મળશે. ડાયરાઓથી લઈ કથાઓમાં તેઓ પ્રોગ્રામ
કરે છે. આમ તો રણજીતભાઈ આયુર્વેદિક ડોકટર છે. પણ છેલ્લા 10થી વધુ વર્ષથી
ડોક્ટરની પ્રેક્ટિસ છોડીને તેઓ લોકસાહિત્યને ખૂણે ખૂણે સુધી પહોંચાડી રહ્યા
છે. લોકસાહિત્ય પ્રત્યેની લગન કહો તો લગન અને પ્રોફેશન ગણો તો પ્રોફેશન
પરંતુ ડોક્ટરની પ્રેક્ટિસ છોડી કલાકાર બનવાનો નિર્ણય આજે તેમને પ્રતિષ્ઠા
જરૂર અપાવી રહ્યો છે.
બાળપણથી હતો વાંચનનો શોખ
રણજીત વાંકનું વતન એટલે ગરવા ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ. મૂળ
કાઠિયાવાડી અને એમાંય ગિરનારની ગોદમાં વસેલા ગામના એટલે લોકસાહિત્ય, સંતોની
કથાઓ તો તેમને લોહીમાં જ મળી છે. એમાંય પિતા શાળામાં આચાર્ય, એટલે વાંચનની
આદત પણ બાળપણથી પડી. અને આદત પાછળથી શોખમાં બદલાઈ. આજે લોકસાહિત્યકાર
તરીકેની સફળતામાં રણજીત વાંક પોતાના આ વાંચનનો ફાળો સૌથી વધુ ગણાવે છે.
રણજીતભાઈ પોતાની આ સફરને યાદ કરીને કહે છે વાંચનનો શોખ બાળપણથી હતો.
હું મારા પપ્પાની શાળામાં જ ભણતો. હું 12.20એ છૂટું અને પપ્પા 1.30 વાગે
છૂટે. ઘરે સાથે જ જવાનું હોય એટલે આ એક કલાક હું લાયબ્રેરીમાં કાઢું. આ
રીતે વાંચનયાત્રા શરૂ થઈ. સેકન્ડરી એજ્યુકેશન સુધી તો હું અનેક કવિતાઓ,
દોલત ભટ્ટનું સાહિત્ય વાંચી ચૂક્યો હતો. પણ ભણવામાં તે સમયે વધુ ધ્યાન
હતું. એટલે આયુર્વેદનો અભ્યાસ કર્યો પણ વાંચન સતત ચાલુ હતું. જો કે આ સમયે
લોકસાહિત્યના કાર્યક્રમ કરવાનો કે એવો કોઈ ઈરાદો નહોતો, શોખથી હું બધુ
વાંચતો હતો.
કરતા હતા ડૉક્ટરની પ્રેક્ટિસ
આયુર્વેદનો અભ્યાસ કર્યા બાદ રણજીતભાઈએ અમદાવાદમાં પોતાનું ક્લિનિક
ખોલીને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધેલી. તો પછી આ કાર્યક્રમો કેવી રીતે શરૂ
થયા એના જવાબમાં મલકાતા મલકાતા રણજીતભાઈનું કહેવું છે કે મિત્રો સાથે
બેસીએ, ચર્ચા થાય ત્યારે ઈતિહાસની વાતો આવે તો હું સૌથી વધુ બોલું. એટલે
મિત્રો કહે કે આવું તો લોકસાહિત્યકારોને પણ નથી ખબર. એટલે મિત્રોએ
પ્રોત્સાહન આપ્યું. મિત્રોના જ કાર્યક્રમમાં બોલવાની શરૂઆત કરી. દાદ મળતી
ગઈ અને આત્મવિશ્વાસ કેળવાતો ગયો.
પત્ની હેતલ વાંક સાતે ડૉક્ટર રણજીત વાંક
રણજીત વાંકે પહેલો કાર્યક્રમ 2004માં અમદાવાદમાં આપ્યો હતો. અને બસ
તેમની સફર ત્યારની ચાલુ જ છે. જો કે 2004થી 2008 સુધી તેઓ ડોક્ટરની
પ્રેક્ટિસ અને કાર્યક્રમો સાથે સાથે કરતા હતા. સવારે પ્રેક્ટિસ કરે અને
રાતે કાર્યક્રમ આપે. ઘણીવાર એવું બને કે વહેલી પરોઢ સુધી કાર્યક્રમ ચાલ્યો
હોય અને સવારે ક્લિનિક ખોલવાની હોય. જો કે 2008 બાદ તેમણે પ્રેક્ટિસ છોડી
દીધી. હવે તેમની ક્લિનિક તેમના પત્ની હેતલ વાંક સંભાળે છે. હેતલ બેન પણ
વ્યવસાયે હોમિયોપેથ છે. અને પતિને તેમણે સંપૂર્ણ પણે લોકસાહિત્યકાર બનાવી
દીધા છે. રણજીતભાઈએ કાર્યક્રમની શરૂઆત જાણીતા ભજનિક હેમંત ચૌહાણ સાથે કરી
હતી. પછી ઓસમાણ મીર સાથે, કિર્તીદાન ગઢવી સાથે અને ફાલ્ગુની પાઠક સાથે
ભજનસંધ્યામાં કામ કર્યું.
અંબાણી પરિવારના ઘરે કરી ચૂક્યા છે કાર્યક્રમ
ધીમે ધીમે કાર્યક્રમો મળતા ગયા, પછી રણજીભાઈએ આકાશવાણીમાં લોકવાર્તા
માટેની સ્વર પરીક્ષા પાસ કરી, પહેલા બી ગ્રેડ પછી બી હાઈગ્રેડની પરીક્ષા
પાસ કરી અને ત્યાં પણ કાર્યક્રમો શરૂ થયા. બસ પછી તો એવી લોકપ્રિયતા મળી કે
હવે તેઓ અમેરિકા, કેનેડા, દુબઈ, મસ્કત, આફ્રિકા, લંડન એમ સાત સમુંદર પાર
પણ પ્રોગ્રામો કરે છે. મોરારિ બાપુની કથાથી લઈ રણજીત ભાઈ અંબાણી પરિવારના
ઘરે પણ કાર્યક્રમ આપી ચૂક્યા છે. અંબાણી પરિવારના ઘરે શ્રીનાથજી બાવાના
16મા પાટોત્સવમાં રણજીત વાંક પ્રોગ્રામ કરી ચૂક્યા છે. હવે રણજીત ભાઈ
વર્ષના 170થી વધુ પ્રોગ્રામો કરે છે.
લોકસાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ રણજીતભાઈને સોની સબ તરફતી ગુજરાતના
નોંધપાત્ર કલાકારનુ સન્માન અને ડોક્ટર્સ એસોસિયેશન તરફથી ડોક્ટર હોવાની
સાથે અન્ય ક્ષેત્રમા સિદ્ધિ મેળવવા બદલ સન્માન મળી ચૂક્યુ છે.
જાતમહેનત કરીને મેળવ્યું જ્ઞાન
રણજીતભાઈની સફળતાની ખાસ વાત એ છે કે આ કામ તેમણે શોખથી અપનાવ્યું છે.
શરૂઆતમાં પુરસ્કાર ઓછા મળતા એટલે થોડી ઘણી આર્થિક તકલીફ પડતી. પણ રણજીત ભાઈ
કહે છે કે શરૂઆતમાં તો આવું જ હોય. એટલે તેમણે કામ ચાલુ રાખ્યું. અને હવે
તો તેઓ ગુજરાતીઓમાં વર્લ્ડ ફેમસ થઈ ચૂક્યા છે. રણજીત ભાઈ ચારણી સાહિત્યના
અઘરા ગણાતા ગ્રંથો અવતાર ચરિત્ર, પાંડવ યશેન્દુ ચંદ્રિકા, પ્રવીણસાગર,
રામરસામૃત સહિત ચારણી સાહિત્યના ગીત કવિત કંઠસ્થ કરી ચૂક્યા છે. કેવી
રીતેના જવાબમાં તેમનું કહેવું છે કે ખૂબ મહેનત લાગી છે. મારે જે કવિત
કંઠસ્થ કરવું હોય એ કાગળમાં લખી લઉ અને વાંચ્યા કરું, પછી વાંચ્યા વગર
બોલું, ભૂલ પડે ત્યાં જોઉં. આમ સતત મહેનત કરીને આ કવિત કંઠસ્થ કર્યા છે.
રણજીતભાઈ કહે છે કે આજે તો લોકસાહિત્ય ભણાવતી કોઈ શાળા નથી. આઝાદી
આસપાસના સમયમાં કચ્છ-ભૂજમાં આવી શાળા હતી. એટલે મારે જાતે જ બધું શીખવું
પડ્યું. રણજીતભાઈ લોકસાહિત્ય કહેવા માટે જાતે જ દુહાના બંધારણોનો અભ્યાસ
કરી ચૂક્યા છે. છંદનો અભ્યાસ કરી ચૂક્યા છે. દેશભરના પુસ્તકો ઘરમાં ભેગા
કરીને તેઓ છંદ-દુહાની માત્રાઓ શીખ્યા છે. રણજીતભાઈ કહે છે કે અમારા
ક્ષેત્રમાં શિક્ષિત કલાકરાો ઓછા છે. મોટા ભાગના કલાકરો દિક્ષીત છે, એટલે જો
લોકસાહિત્યની સ્કૂલ હોય તો વધુ સારા કલાકારો તૈયાર થઈ શકે.
શોર્ય રસમાં છે માસ્ટરી
રણજીભાઈના કાર્યક્રમમાં આજે સૌથી વધુ માગ થતી હોય તો તેમના જ્ઞાતિના નામ
બોલવાની સ્ટાઈલની. રણજીત વાંક એક જ શ્વાસે એક સાથે 142 જ્ઞાતિના નામ બોલી
જાણે છે. તો શૌર્ય રસના તેઓ માસ્ટર છે અને મહાભારતનો કર્ણ તેમનું ગમતું
પાત્ર છે. લોકસાહિત્ય પ્રત્યે યુવાનો નિરસ વલણ અંગે તેમનું કહેવું છે કે
થોડા સમય પહેલા એવું હતું કે યુવાનોને રસ ઓછો પડતો પરંતુ હવે સોશિયલ
મીડિયા, યુટ્યુબ અને ચેનલો પર કાર્યક્રમને કારણે પણ અમુક પ્રકારની વાતો
યુવાનોને ગમે છે. છતાંય હજી વધુ યુવાનોએ આમાં રસ લેવો જોઈએ. તો જ આપણો
વારસો, સંસ્કૃતિ સચવાશે. ઈતિહાસની વાતો નહીં વાગોળીએ તો ખતમ થઈ જતા વાર
નહીં લાગે. એટલે જ રણજીતભાઈ કહે છે કે હું પોતે લોકવાર્તા કરું છું અને
કોઈને શીખવામાં રસ હોય તો મને શીખવવામાં આનંદ થશે.
ભલાજી ડામોર (Image Courtesy: Times of India)ભલાજી ડામોર, પહેલી વખત નામ સાંભળીને તમને યાદ નહીં જ આવે
કે તમે આ વ્યક્તિને ટીમ ઈન્ડિયામાં રમતા જોયા હશે કે સાંભળ્યા હશે. જો કે
વાંક તમારો નથી પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ વિશે હજી એટલી જાગૃક્તા નથી આવી. જી
હાં, ગુજરાતના મેઘરજના વતની ભલાજી ડામોર સંપૂર્ણ પણે અંધ છે. અને તેઓ પહેલા
પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતને રિપ્રેઝન્ટ કરી ચૂક્યા છે. જો
કે વિધિની વક્રતા એ છે કે ભારતને સેમી ફાઈનલ સુધી પહોંચાડનાર આ ક્રિકેટ આજે
ગુમનામ જિંદગી જીવી રહ્યો છે. ભલાજી ડામોર આજે સાવ કાચા મકાનમાં રહીને ગાય
ભેંસ ચરાવવાનું કામ કરે છે.
ભલાજી વતની છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા પિપરાના ગામના. આ
ગામ આજે પણ એટલું પછાત છે કે ત્યાં ફોર વ્હીલર લઈને જવું શક્ય નથી. કદાચ
એટલે જ ભલાજી ડામોર અહીં ગુમનામ જિંદગી જીવી રહ્યા છે. વાત કરીએ ભલાજીના
ક્રિકેટ કરિયરની તો બાળપણથી જ અંધ હોવાને લીધે તેમનું જીવન મુશ્કેલી ભર્યું
હતું. પરંતુ કહેવાય છે કે કુદરત એક દરવાજો બંધ કરે તો બીજા હજાર ખોલી નાખે
છે. એમ ભલાજી ડામોરની સાંભળવાની અને સમજવાની શક્તિ શાનદાર હતી. એટલે જ
કેટલાક લોકોએ તેમને ક્રિકેટ રમવા પ્રેરિત કર્યા. અને ક્રિકેટ રમવામાં તેઓ
એટલા સારા હતા કે ગુજરાતની ટીમ સુધી તેમનું સિલેક્શન થયું.
તસવીર સૌજન્યઃ અંકિત ચૌહાણ
વાત 90ના દાયકાની છે જ્યારે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને ક્રિકેટ માત્ર
કેટલીક NGO જ રમાડતી હતી. જો કે ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોની
પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમ અસ્તિત્વમાં હતી. અને આખરે 1998માં પહેલો
પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ વર્લ્ડ કપ રમાયો. મેઘરજના સાવ નાનકડા ગામના ખેલાડી
ભલાજીનું ઓલરાઉન્ડર તરીકે સિલેક્શન થયું. અને ભલાજીએ પોતાની ઉત્કૃષ્ટ રમતથી
ટીમને સેમીફાઈનલ સુધી પહોંચાડી. પહેલા વર્લ્ડ કપમાં ભારતની ટીમ એટલી મજબૂત
હતી કે લીગ રાઉન્ડમાં ટીમ એક પણ મેચ નહોતી હારી. પરંતુ સેમીફાઈનલમાં
દક્ષિણ આફ્રિકા સામે 317 રન બનાવ્યા છતાંય ભારતની હાર થઈ.
પહેલો વર્લ્ડ કપ જીતવાનું સપનું તો ચકનાચૂર થયું પરંતુ ભલાજીએ પોતાની
ક્ષમતા દર્શાવી દીધી હતી. ભલાજીના ક્રિકેટ કરિયરનો રેકોર્ડ શાનદાર રહ્યો
છે. તેઓ 125 મેચમાં 3125 રન બનાવી ચૂક્યા છે અને 150 વિકેટ ઝડપી ચૂક્યા છે.
વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન માટે તત્કાલીન રાષ્ટર્પતિ કે. આર. નારાયણે
તેમની પ્રશંસા પણ કરી હતી. તો ગુજરાત સરકારે તેમને 5 હજારનું ઈનામ જાહેર
કર્યું હતું. એક સમયે સાવ ગરીબીમાં જીવનાર અને કુદરતે આપેલી ખોડ સાથે
મુશ્કેલીથી જીવન પસાર કરનાર ભલાજીએ વિચાર્યું હતું કે હવે તેમની લાઈફનો
સારો સમય શરૂ થયો છે. આટલા અચિવમેન્ટ બાદ તેમણે નોકરી માટે પ્રયત્નો કર્યા.
પરંતુ રાષ્ટ્રપતિએ જેની નોંધ લીધી તેની નોંધ ગુજરાતમાં કોઈએ ન લીધી.
આખરે થાકી હારીને ભલાજીએ ફરીથી પોતાની એ જ જૂની જિંદગીમાં પાછા ફરવાનું
નક્કી કર્યું. બસ ત્યારથી આજ સુધી ભલાજી પોતાના પરિવાર સાથે એક નાનકડા કાચા
મકાનમાં રહે છે, જેના નળિયામાંથી વરસાદનું પાણી ટપકે છે. અને ભલાજીને
પોતાની નિષ્ફળતા યાદ કરાવે છે. એક એકરના ખેતરમાં તેઓ ભાઈ સાથે ભાગમાં ખેતી
કરે છે અને ગાય ભેંસ ચારીને ગુજરાન ચલાવે છે. ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે
નામના અપાવનાર આ ખેલાડી માસિક માત્ર 3 હજારનની આવક રળે છે, જેમાં પરિવારનું
ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ છે. હવે ભલાજીને એ ખેદ છે કે પોતે જો આ જ
જિંદગી જીવતા હોત તો અફસોસ ન હોત, પરંતુ સફળતા મેળવ્યા પછીનું આ દુઃખ
કાળજું વીંધી રહ્યું છે. વિધિની વક્રતા કહો કે કાળનું ચક્ર કુદરતે પહેલા
દુઃખ આપ્યુ, પછી સુખ અને ફરી ભલાજીને પોતાની એ જ જિંદગીમાં સબડવા માટે
ધકેલી દીધા.
ભલાજી ડામોર ક્યારેક નજીકની બ્લાઈન્ડ સ્કૂલમાં ક્રિકેટની તાલીમ આપવા પણ
જાય છે, પરંતુ તેની આવક પણ સાવ નજીવી જ છે. આજે દેશમાં અને આંતરરાષ્ટ્રીય
સ્તરે પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટને પ્રોત્સાહન મળી રહ્યું છે, પરંતુ ભલાજી જેવા
ક્રિકેટર્સ ભૂલાયા છે. આઈપીએલ જેવી ઝાકમઝોળ લીગમાં ખેલાડીઓ કરોડો કમાય છે,
પરંતુ ટેલેન્ટ ધરાવતા જરૂરિયાતમંદ ખેલાડીઓ ગુમનામીમાં વિસરાઈ જાય છે.
ત્યારે આપણે જરૂર છે આવા ખેલાડીઓ તરફ ધ્યાન આપવાની, તેમને આર્થિક મદદ
કરવાની. જેથી સરહદ પર તૈનાત સૈનિકોની જેમ જ આવા ખેલાડીઓ પણ પોતાના ભવિષ્ય
કે પરિવારની ચિંતા છોડીને દેશ માટે રમી શકે. દેશને ગૌરવ અપાવી શકે.
તિરંગાને શાનથી લહેરાવી શકે. જો તેમને આર્થિક મદદ મળતી રહેશે, તો તેઓ દેશ
માટે રમવા પ્રોત્સાહિત થતા રહેશે. કારણ કે આખરે આ ખેલાડીઓ પણ મેદાનમાં ઉતરે
છે ભારત માટે.
(ડાબેથી) ટ્વિંકલ બાવા, રામ મોરી અને વિજયગિરી બાવા મોન્ટુની બિટ્ટુ શેની સ્ટોરી છે ? કોની સ્ટોરી છે ?
આ એક ક્યુટ લવસ્ટોરી છે, અમદાવાદ શહેર હેરિટેજ બન્યું છે. શેના લીધે ?
તો અમદાવાદની પોળ એક જીવંત વારસો છે. આ ફિલ્મ એ પોળમાં રહેતા એ ફેમિલીની
વાત છે. પોળમાં જ પાંગરતી લવસ્ટોરી એટલે મોન્ટુની બિટ્ટુ.
પ્રોડ્યુસર તરીકે મોન્ટુની બિટ્ટુની સ્ટોરી કેમ તમને ગમી, કેમ
એવું લાગ્યુ કે આના પર ફિલ્મ બની શકે ? સ્ટોરીનો સ્પાર્ક શું હતો જે તમને
ટચ થઈ ગયો ?
મોન્ટુની બિટ્ટુની સ્ટોરી રામે કીધી ત્યારે મને ઈમોશનલ કનેક્ટ હતું, એક
દિકરીના લગ્નની વાત હતી એટલે ગમી. રામે સિનોપ્સિસ લખ્યા ત્યારે ઘણી બધી
વાતો આવરી લીધી. જેમાં ગુજરાતી કલ્ચર, તહેવારો, કેરેક્ટર હતા જેનાથી
ઓડિયન્સને મજા આવે. સ્ટોરી વાંચતા વાંચતા જ અમે એને ખૂબ એન્જોય કરી. ત્યારે
જ લાગ્યું કે સબ્જેક્ટ ઈમોશનલ પણ છે, અને હ્યુમરસ પણ છે. ખૂબ કલરફુલ
સબ્જેક્ટ છે, એટલે આ સબ્જેક્ટ ફિલ્મ બનાવવા પસંદ કર્યો.
ફિલ્મ બનાવવાના નિર્ણયથી લઈને આજ સુધીની જર્ની કેવી રહી છે ? આ જર્નીનો કોઈ એકાદ એવો અનુભવ જે યાદ રહી ગયો હોય
આવા તો ખૂબ અનુભવો હોય, એકાદ કહેવો મુશ્કેલ છે. પણ જૂન મહિનામાં વાર્તા
સામે આવી. વિજયના મનમાં પણ કેટલીક વાર્તાઓ હતી. એ પહેલા પણ કેટલીક વાર્તા
હતી. રામે પણ સજેસ્ટ કરી હતી. હજીય કેટલીક વાર્તા લ઼ૉક કરેલી છે. પણ બીજા
એકેયમાં આગળ વધવા જેવો સ્પાર્ક નહોતો લાગતો. રામે જ્યારે આ વાર્તા શૅર કરી,
ટીઝર નેરેટ કર્યું, તો સાંભળીને મજા આવી. રામને વધુ સ્ટોરી લખવાની કહી.
રામને અને ટીમને ટાર્ગેટ આપ્યો કે ઓગસ્ટમાં સ્ટોરી લખીને આપો. રામ
સ્ટ્રેસમાં આવી જાય. મુંઝાય તો વિજયને ફોન કરે. ફિલ્મ બનવાની આ આખી જે
જર્ની હતી એ મજેદાર હતી.
કેટલાક ઈન્ટરેસ્ટિંગ અનુભવ પણ હતા. ફિલ્મનું ટાઈટલ પહેલા હતું વર પધરાવો
સાવધાન, વર વધુ અને પંકજ, અને કરો કંકુના આ નામ ટેમ્પરરી વિચાર્યા હતા.
અને દિવાળીમાં હું ને વિજય ઘરે જતા હતા ત્યારે ડિસ્કશન કરતા આર્ટિસ્ટ ફાઈનલ
થયા ત્યારે જ નામ પણ ફાઈનલ કર્યું. ત્યારે બધા શૉકમાં હતા કે પંકજ અને ધરા
મોન્ટુ-બિટ્ટુ કેમ બનશે. એ પછી શૂટિંગ શરૂ કરવાનું હતું. એટલે ડિરેક્ટર
તરીકે વિજય ફોકસ કરી શકે તે માટે ફેબ્રુઆરીમાં ફ્લોર પર ગયું. પ્લાનિંગ
ઓક્ટોબરમાં જ થઈ ગઈ હતી. શૂટિંગ ડેટ સિવાય બધું જ ક્લિયર હતું. એટલે શૂટિંગ
ખૂબ સ્મૂધ ચાલ્યું. એ રીતે જર્ની સારી રહી.
પ્રેમજીની સ્ટારકાસ્ટને રિપીટ કરવાનું કારણ, નવા કલાકારોને કેમ ન લીધા ?
ફક્ત હેપ્પી ભાવસાર જ 'મોહિની'ના પાત્રમાં લોક કરેલી હતી. મોન્ટુ,
બિટ્ટુ અને અભિનવ માટે આરોહી, મૌલિક અને મેહુલ સોલંકી પહેલી પસંદગી નહોતા.
દિવાળી પહેલા અમારે સ્ટારકાસ્ટ ફાઈનલ કરવી હતી. સબ્જેક્ટ સાંભળ્યો ત્યારથી
ઘણા નામ મગજમાં હતા. પ્રેમજીની સ્ટારકાસ્ટને રિપીટ કરવા જ પિક્ચર બનાવ્યું
એવું નહોતું. પ્રેમજીની કાસ્ટ છેલ્લી પ્રાયોરિટી હતી. પહેલા અમે અત્યારના
જાણીતા કલાકારોને વિચાર્યા હતા. પણ જ્યારે આખી વાર્તા લખાઈ તો મોન્ટુ
જ્યારે ડાયલોગ અને સ્ક્રીપ્ટ સાથે પાત્ર બન્યું ત્યારે વિજય કોન્ફિડન્ટ હતો
કે મૌલિક જ કરી શક્શે. એવું જ અભિનવના પાત્ર માટે હતું. આરોહીની વાત કરીએ
તો સ્ક્રીપ્ટ વાંચતી વખતે બધાને બિટ્ટુના પાત્રમાં આરોહી જ દેખાતી હતી. તો ય
આરોહી સૌથી છેલ્લે સાઈન થઈ હતી. અને પ્રેમજીમાં બધાની જ એક્ટિંગ વખણાઈ
હતી. એટલે અમે તેમને રિપીટ કર્યા છે.
એવોર્ડ વિનર પ્રોડ્યસુર છો, પ્રેમજીને 14 જેટલા એવોર્ડ મેળવ્યા
છે. એઝ અ મહિલા પ્રોડ્યુસર ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો છે ?
મહિલા પ્રોડ્યુસર તરીકે કંઈ ખાસ ફરક હોતો નથી. મહિલા હોવાને કારણે કોઈ
ખાસ અનુભવ થયો હોય એવું પણ નથી બન્યું. એ જ આ ફિલ્ડની સારી વાત છે.
પ્રોડ્યુસરને પ્રોડ્યુસર જ રહેવા દે છે, મેલ ફિમેલના ભેદભાવ મને હજી સુધી
નથી અનુભવાયા. કદાચ થોડી રિસ્પેક્ટ વધુ મળે છે.
પ્રોડ્યુસર હોવાની સાથે સાથે તમે ફિલ્મમાં પાત્રોના લૂક ડિઝાઈન કર્યા છે, એક સાથે બધું મેનેજ કરવું કેટલું અઘરું થઈ પડે છે ?
કોસ્ચ્યુમની વાત આવી ત્યારે હું રિલેક્સ હતી. કારણ કે પ્રોડ્યુસર
તરીકેનું કામ મેં પહેલા જ પતાવી દીધેલું. ફર્સ્ટ ડ્રાફ્ટથી જ કોસ્ચ્યુમ
અંગે ચર્ચા થતી રહેલી હતી. ઘરમાં પ્રસંગ હોય તો 5 દિવસ માટે જ કપડા નક્કી
કરવાના હોય. પણ આ 30 દિવસના લગ્ન હતા અને 30 લોકોના કપડા નક્કી કરવાના હતા.
એટલે એક લૂક મગજમાં હતો કે કયો પાત્ર કયા કલર કેવા પ્રકારના કપડા પહેરશે. એ
પ્રમાણે જ દરેક પાત્રના કોસ્ચ્યુમ સિલેક્ટ કર્યા. સૌથી વધુ મજા અને
અભિનવના પાત્રના કોસ્ચ્યુમ કરવાની મજા આવી. થોડું અઘરું પડ્યું. દોડાદોડ થઈ
જતી હતી. એક સાથે બધા જ લોકોના કોસ્ચ્યુમ મેનેજ કરવા અઘરા પડતા હતા. પણ
હું પ્રોડ્યુસર તરીકે નહોતી જતી, પણ હું કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે જ ટાઈમસર
પહોંચી જતી હતી.
શૂટિંગ દરમિયાન કોઈ એવી ક્ષણ જ્યારે લાગ્યું કે આ ફિલ્મ બરાબર નથી બની રહી ?
બિટ્ટુને મહેંદી મુકવાનો એક સીન છે, જેમાં મોન્ટુની સાથે બિટ્ટુનું એક
કન્વર્ઝેશન છે. એ સીન હંમેશા મારા મગજમાં વિઝ્યુલાઈઝ થાય. અને જ્યારે એ સીન
શૂટ થયો ત્યારે ખૂબ રાહત લાગી કે મેં જે ઈમેજીન કર્યું હતું એના કરતા વધુ
સારી રીતે શૂટ થયો. ત્યારે ખૂબ જ મજા આવી. લાગ્યુ કે લાગતું હતું જે નક્કી
કર્યું હતું એના કરતા સારું કામ થઈ રહ્યું છે. એટલે બરાબર નથી બની રહી એમ
તો બિલકુલ નહીં પણ સારી બની રહી છે એવું જરૂર લાગ્યું
એક ડિરેક્ટર કે એક પતિ તરીકે તો તમે વિજયભાઈને ખૂબ સારી રીતે જાણતા હશો, તમને એમની કઈ ખાસિયત ગમે છે ?
પ્રોડ્યુસર ડિરેક્ટર જ્યારે જોડે રહેતા હોય ને તો પ્રોડક્ટને ખૂબ જ
ફાયદો મળે. કારણ કે અમને બંનેને એકબીજાની વિચારવાની સ્ટાઈલ ખબર છે. એ કોઈને
બ્રીફ આપતા હોય, એક્ટર્સ કે કમ્પોઝર સાથે વાત કરતા હોય, તો હું હાજર હોઉં
મને ખબર જ હોય કે એને શું જોઈએ છે. એટલે એ કમ્યુનિકેટ ન કરે તો પણ મને ખબર
હોય. વિજયને જ્યારે કંઈક કરવું હોય ત્યારે એ ખૂબ ક્લિયર હોય, એટલે એની સાથે
કામ કરનારા લોકોને ખૂબ સહેલું પડે. મને એઝ અ ડિરેક્ટર એ વાત ખૂબ જ ગમે.
ક્યારેય એવું લાગ્યું કે ડિરેક્ટર અને પ્રોડ્યુસર એટલે કે વિજયભાઈના અને તમારા વિચારો મેચ ન થતા હોય, આવી સિચ્યુએશનમાં શું થાય છે ?
ક્યારેક અમારે માથાકૂટ પણ થાય. એવું નથી કે બધી જ વાતો સમજાય,
આર્ગ્યુમેન્ટ પણ થાય છે. જ્યારે એણે કોઈ મુદ્દો કીધો હોય અને હું કન્વીન્સ ન
થાઉં તો ના પાડું. પરંતુ પછી એ ડિટેઈલમાં સમજાવે ત્યારે ખ્યાલ આવે કે સાચુ
કહેતો હતો. પણ મોટે ભાગે એની જ વાતો સાચી પડે છે. એટલે મોટે ભાગે એનો જ
કક્કો સાચો પડે.
પ્રેમજી જ્યારે કમર્શિયલી હિટ નહોતી થઈ, ત્યારે તમને કેવું લાગ્યું ?
પ્રેમજીમાં અમે ફાઈનાન્સિયલી અમે લોસ કર્યો હતો. પણ એક સંતોષ હતો,
સ્પિરિટ હતું કે સપનું જોયું અને તેને સાચુ કર્યું. ફિલ્મ બની, લોકોએ
વખાણી. અમે બનાવતી વખતે ખબર હતી કે લાખો કરોડો નહીં કમાઈ આપે, પણ પ્રેમજી
અમારી લાગણી હતી. રિલીઝ પછી જ્યારે ફાઈનાન્સિયલી લોડ આવ્યો ત્યારે લાગતુ કે
કેવી રીતે બહાર નીકળીશું, પણ સાથે જોડાયેલા લોકો અને વિજયના સ્પિરીટ જ
અહીં સુધી પહોંચાડ્યા. અને વધુ એક સારી વાર્તા પર ફિલ્મ બનાવી. એ પણ
પ્રેમજીની જ દેન છે. પ્રેમજીએ વિજયગિરી ફિલ્મોઝને 5 વર્ષનો જંપ આપ્યો છે.
આગળ તમારે કેવા પ્રકારની ફિલ્મો પ્રોડ્યુસ કરવી છે.
એવું કંઈ વિચાર્યું નથી. કોઈ પ્રકાર નક્કી નથી કર્યો. જે ગમશે લાગશે કે આ કરવું છે એ બધું જ કરીશું.
ફક્ત વિજયભાઈની જ ફિલ્મો પ્રોડ્યુસ કરશો કે નવા ડિરેક્ટર અન્ય ડિરેક્ટર સાથે પણ કામ કરશો ?
હા, અન્ય ડિરેક્ટર્સ સાથે વાત કરવામા ંકોઈ વાંધો નથી. નવી ટેલેન્ટ માટે
હંમેશા વિજયગિરી ફિલ્મોઝના દરવાજા ખુલ્લા જ છે. પોટેન્શિયલ હશે તે લોકો
સાથે કામ કરીશ જ.
ટ્વિંકલ બાવા એઝ અ પ્રોડ્યુસર કે વિજયગિરી ફિ્લ્મોઝ એક્સપેરિમેન્ટમાં કેટલું માને છે.
ફિલ્મો છે ને એક આર્ટ છે, એટલે આર્ટમાં પ્રયોગો ન હોય. એટલે આર્ટને આર્ટ
જ રહેવા દેવી જોઈએ. અને વિજયગિરી ફિલ્મોઝ પણ આર્ટને ડેડિકેટેડ છે.
વિજયગિરી ફિલ્મોઝ જે મજા આવશે એ જ ફિલ્મો કરશે.
ગુજરાતી ફિલ્મોના કયા ડિરેક્ટર અને એક્ટર સાથે કામ કરવાની ઈચ્છા છે ?
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હજી કોઈ એવા સ્ટેજ પર નથી કે કોઈ એક્ટરને મહાન
ગણી શકો. અત્યારના સ્ટેજમાં દરેકે કામ કરવું જોઈએ. દરેક જણ કામ કરશે તો
કોઈક એવું બહાર આવશે કે આ જબરજસ્ત છે. ગુજરાતી ઈન્ડસ્ટ્રી નહીં બોલીવુડમાં
પણ એવું નથી કે કોઈ એક પર જ આધારિત હોય. હવે ઓડિયન્સ મેચ્યોર થયું છે એટલે
દરેકને કામ મળે છે.
અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મોમાંથી તમને કઈ ફિલ્મ સૌથી વધુ ગમી, કેમ ?
મને એવી ફિ્લમો ગમે જેમા ઈમોશનલ કનેક્ટ થઈ જવાય. મને શુભ આરંભ ગમી હતી.
ચાલ જીવી લઈએ, લવની ભવાઈ આ ફિલ્મો ગમી હતી. રોંગ સાઈડ રાજુ અને પાસપોર્ટ પણ
ગમી હતી.
એઝ અ પ્રોડ્યુસર દર્શકો માટે કોઈ મેસેજ, કેમ મોન્ટુની બિટ્ટુ જોવી જોઈએ ?
મોન્ટુની બિટ્ટુ એટલા માટે જોવી જોઈએ કે તમે જે દુનિયામાં જીવો છો એ
છોડીને તમે નવી જ દુનિયામાં એન્ટર થશો એટલે તમને મજા આવશે. ફૂલ ઓફ
એન્ટરટેઈનમેન્ટ છે.