Wednesday, 15 May 2019

મળો અમદાવાદના 'મંકી મેન'ને, જે સેંકડો વાનરોને પહોંચાડે છે ભોજન


મળો અમદાવાદના 'મંકી મેન'ને, જે સેંકડો વાનરોને પહોંચાડે છે ભોજન
'મંકી મેન' સ્વપ્નિલ સોની
કેટલાક દિવસો પહેલા જ હિમાલયમાં યેતિ એટલે કે હિમમાનવ હોવાની ચર્ચાઓ થઈ. જો કે કશું સાબિત ન થયું. પરંતુ હિમ માનવ હોય કે ન હોય મંકી મેન જરૂર છે. અને એ પણ અમદાવાદમાં. જી હાં, તમે ભલે ન માનો પણ અમે તમને મંકી મેનના ફોટોઝ વીડિયોઝ બતાવીશું. આ મંકી મેન એક એવું કામ કરે છે, જે જાણીને તમને તેના પ્રત્યે માન થઈ જશે. મંકી મેનનું નામ છે સ્વપ્નિલ સોની. સ્વપ્નિલ સોનીએ પોતાનું જીવન વાનરોના નામે કરી દીધું છે. સ્વપ્નિલ સોની લગભગ 400 જેટલા વાનરોને ભોજન કરાવે છે, એ પણ પોતાના ખર્ચે.

અમદાવાદમાં રહેતા સ્વપ્નિલ સોની છેલ્લા 11 વર્ષથી વાનરોને ભોજન કરાવે છે. કેવી રીતે શરૂઆત થઈ એ યાદ કરતા મંકી મેન સ્વપ્નિલ સોની કહે છે,'વર્ષોથી હું મારા ફ્રેન્ડ સાતે ધોળકામાં આવેલા જૈન મંદિરમાં દર્શન કરવા જતો હતો. ત્યાં રસ્તામાં મિરોલી ગામ પાસે રતિભાઈ પટેલ નામના વ્યક્તિ રોજ વાનરોને બાજરીના રોટલા ખવડાવતા. રતિભાઈ મૂળ મિરોલી ગામના હતા, પણ અમદાવાદ રહેતા. વાનરોને પણ તેમની સાથે એટલો પ્રેમ હતો કે રતિભાઈની ગાડીનું હોર્ન વાગે ને 100-200 વાનરો ભેગા થઈ જાય. રતિભાઈનું તો 105 વર્ષની ઉંમરે નિધન થયું. પણ એમને જોઈને મને પણ આવું કરવાની પ્રેરણા મળી.'

swapnil soni

સ્વપ્નિલ સોની આમ તો બિસ્કિટના ટ્રેડિંગ વેપારી છે. પરંતુ હવે તેઓ મંકી મેન તરીકે જ ફેમસ થઈ ચૂક્યા છે. જોગાનુજોગ તેમણે વાનરોને ખવડાવવાની શરૂઆત પણ બિસ્કિટથી જ કરી હતી. સ્વપ્નિલ ભાઈ કહે છે કે શરૂઆતમાં એક બાંધો લઈ જતો, એ ફટાફટ પતી ગયો. પછી હું કાર્ટૂન લઈ જતો, તો એ પણ પુરુ થઈ જાય. પછી તો 5 -5 કાર્ટૂન પણ ઓછા પડવા લાગ્યા. એટલે સ્વપ્નિલભાઈએ બિસ્કટની સાથે રોટલીઓ અને કેળા આપવાના પણ શરૂ કર્યા. શરૂઆત સ્વપ્નિલ સોનીએ પણ મરોલી ગામથી જ કરી. મરોલીથી ઓડ ગામના પટ્ટામાં વાનરોની સાથે નીલ ગાયને પણ તેઓ જમાડતા.

આ કામમાં જો કે સ્વપ્નિલભાઈને મુશ્કેલીઓ નથી પડી એવું પણ નથી. સ્વપ્નિલભાઈની આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે તેઓ બધો જ ખર્ચ ઉપાડી શકે, તેમ છતાંય સ્વપ્નિલ સોની પોતાના ધંધામાંથી સમય કાઢીને વાનરો પાસે પહોંચી જાય છે. સ્વપ્નિલ ભાઈએ છેલ્લા 11 વર્ષમાં કોઈની પાસેથી આર્થિક સહાય નથી લીધી. જો કે 10 દિવસ પહેલા જ મુંબઈના હિમાંશુ વોરા નામના વેપારીએ તેમને સોશિયલ મીડિયાથી સંપર્ક કરીને સહાય કરી છે. અને સ્વપ્નિલભાઈને પણ હવે આર્થિક સહાયની જરૂરિયાત વર્તાય છે. મંકી મેન સ્વપ્નિલભાઈનો પરિવાર પણ તેમને આ કામમાં સાથ આપી રહ્યો છે. આર્થિક ભારણ ન પડે તેના માટે તેમની પત્ની પણ નોવેલ્ટીની દુકાન ચલાવે છે અને આ સેવાના કામમાં મદદ કરે છે. તો તેમના બાળકો પણ વાનરોને ભોજન કરાવવા સાથે પહોંચી જાય છે.

swapnil soni monkey man

મુશ્કેલી અંગે વાત કરતા સ્વપ્નિલ સોની કહે છે કે મુશ્કેલી તો એવી છે કે મરોલીમાં હું વાનરોને જમાડતો, એટલે ત્યાંના લોકો ખીજાતા. કારણ કે હું ના જઉં ત્યારે વાનરો ભેગા થઈને ત્યાંના લોકોના ખેતરોમાં ધમાલ કરે, ફળો તોડી લે. એટલે સ્થાનિકોએ મારો ખૂબ વિરોધ કર્યો. પછી મને કોઈએ કહ્યું કે આ જ પટ્ટામાં ઓડ ગામ પાસે ગોચરની જમીન છે, ત્યાં વાનરો હોય છે. એટલે હવે હું ત્યાં જઈને વાનરોને જમાડું છું.

swapnil soni monkey man

એવું નથી કે સ્વપ્નિલભાઈ ખાલી વાનરોને કેળા જ ખવડાવે છે. સિઝન પ્રમાણે તેઓ મેનુ બદલે છે. શિયાળામાં રોટલી ખવડાવે છે. તો રિંગણ અને બટાકા પણ જમાડે છે. ઉનાળામાં કેળાની સાથે પાણી પણ લઈ જાય છે. અને આ જ ઋતુ પ્રમાણે તેઓ રૂટિન પણ ચેન્જ કરે છે. સ્વપ્નિલભાઈ અઠવાડિયામાં 2 વાર 400થી 500 વાનરોને જમાડે છે. સ્વપ્નિલભાઈની આ મહેનતને કારણે હવે લોકો પણ વાનરોને ખવડાવતા થયા છે. કેટલાક વર્ષો પહેલા તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો ત્યારથી લોકો પણ આ જગ્યા શોધીને અહીં વાનરોને ખવડાવવા આવે છે.

હવે તો વાનરો પણ સ્વપ્નિલભાઈને ઓળખી ગયા છે. તેઓ જ્યારે પોતાની કાર લઈને પહોંચે તો કારને જોઈને જ વાનરો ભેગા થવા લાગે છે. સ્વપ્નિલભાઈ કહે છે કે મને શરૂઆતથી ક્યારેય વાનરોથી ડર નથી લાગ્યો. ન તો આ જ સુધી વાનરોએ મારી પાસેથી કશું ઝૂંટવવાની કોશિશ કરી. મિત્રતા બેય પક્ષે યથાવત્ ચાલી રહી છે. એવું પણ નથી કે મંકી મેન ફક્ત વાનરો માટે કામ કરે છે. તેઓ શ્રીઠાકોરજી સેવા પરિવાર નામની NGO પણ ચલાવે છે. જે પક્ષીઓ માટે કામ કરે છે. અમદાવાદના મણિનગર, ખાડિયા, ધોડાસર વટવા નારોલ વિસ્તારમાં કબૂતરોને ઈજા થાય તો તો લોકો તેમની એનડીઓને સંપર્ક કરે છે અને સ્વપ્નિલભાઈ કે તેમના મિત્રો પક્ષીઓને જીવદયા પાંજરાપોળમાં મોકલાવી દે.


સરવાળે કહીએ તો આ સેવાના કામમાં સ્વપ્નિલભાઈ ખુશ છે. બસ તેઓ એક જ અરજી કરે છે કે હાલ ઓડ ગામના પટ્ટામાં જે વિસ્તાર છે ત્યાં ખૂબ જ વાનરો અને નીલગાય છે. પરંતુ આ પટ્ટાનું કમર્શિયલાઈઝેશન થઈ રહ્યું છે. ત્યાં મકાનો બંધાઈ રહ્યા છે. પરિણામે વાનરો અને નીલગાયનું રહેઠાણ છીનવાઈ રહ્યું છે. શક્ય હોય તો આપણે બધાએ ભેગા થઈને આ જગ્યાનું રક્ષણ કરવું જોઈએ, જેથી આ હજારો અબોલ પશુઓ પોતાની જગ્યામાં રહી શકે. સચવાઈ શકે. સાથે જ સ્વપ્નિલભાઈને તેમના જેવા જ સેવાભાવી લોકો અથવા તો આર્થિક સહાય કરી શકે તેવા લોકોની પણ જરૂર છે.

Monday, 13 May 2019

સાસણગીરનો આ રિસોર્ટ છે ખાસ, આ વ્યક્તિઓ માટે રોકાવાનું છે એકદમ ફ્રી

સાસણગીરનો આ રિસોર્ટ છે ખાસ, આ વ્યક્તિઓ માટે રોકાવાનું છે એકદમ ફ્રી
આવો છે સાવજ રિસોર્ટનો નજારો
વેકશનનો ટાઈમ છે, તમે પણ બાળકો સાથે ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરી જ રહ્યા હશો. જો તમે ગુજરાતમાં જ ક્યાંક ફરવા જવા ઈચ્છતા હો તો ગીર અભયારણ્ય બેસ્ટ ઓપ્શન છે. ગુજરાતમાં આવેલું ગીર એકમાત્ર એવું જંગલ છે, જ્યાં એશિયાટિક સિંહ વસે છે. જો બાળકો સાથે અહીં જશો તો જંગલ સફારીની સાથે સાથે બોન ફાયરનો આનંદ તો મળશે જ. સાથે સાવજ સહિતના પ્રાણીઓ જોવા મળશે. સાક્ષાત સામે સિંહ જોવા એ કોઈ રોમાંચથી કમ નથી.

દિકરીઓને રહેવાની છે ફ્રી સુવિધા

અને જો તમે ગીર જવાના જ હો, તો અમે તમને આપીએ એક એવા રિસોર્ટની માહિતી જે તમારું ફરવાનું બજેટ ઘટાડી દેશે. જી હાં, ગીરના જંગલમાં જુદા જુદા રિસોર્ટ છે. સરકારી સુવિધા સાથે પ્રાઈવેટ રિસોર્ટ પણ ધૂમ ચાલે છે. કારણ કે ગીર ફરવા માટે હોટસ્પોટ છે. એટલે અહીં રિસોર્ટ ફૂલ રહેતા હોય છે. પણ જો તમારા પરિવારમાં દિકરી છે અને તે અપરિણીત છે, તો તમારો ગીર ફરવા જવાનો ખર્ચો ઘટી શકે છે. જી હાં, ગીર જંગલમાં એક રિસોર્ટ એવો પણ છે, જે કુંવારી દિકરીઓને રહેવાની સુવિધા ફ્રી આપે છે.

saavaj resort

થઈ શકે છે આટલો ફાયદો

આ રિસોર્ટનું નામ છે સાવજ રિસોર્ટ. સાસણગીર અભયારણ્યની અંદર આવેલા સાવજ રિસોર્ટમાં અપરિણીત દીકરીઓને રહેવાની સુવિધા ફ્રી છે. આ સુવિધા વિશે ગુજરાતી મિડ ડે સાથે વાત કરતા સાવજ રિસોર્ટના મેનેજર અશોકભાઈ ચાવડાનું કહેવું છે કે,'સાવજ રિસોર્ટ શરૂ થયો ત્યારથી અમે આ સુવિધા આપીએ છીએ. દિકરી કુંવારી હોય તો તેનું ભાડું અમે નથી લેતા, પછી ભલે દિકરીની ઉંમર ગમે તે હોય.' અશોકભાઈ કહે છે કે,'લોકો ફરવા આવે ત્યારે તેમની સાથે બાળકો તો હોય જ છે. ત્યારે સાવજ રિસોર્ટ એક્સ્ટ્રા પર્સનના લંચ ડિનર અને બ્રેકફાસ્ટના 1,500 રૂપિયા ચાર્જ કરે છે, તે ચાર્જ દિકરીઓ માટે લેવામાં નથી આવતો.'

saavaj resort

આખા ભારતમાં એકમાત્ર રિસોર્ટ

મુખ્યવાત એ છે કે આખા ભારતમાં આવી સુવિધા આપતો અન્ય કોઈ રિસોર્ટ નથી. સાથે મહત્વની વાત એ પણ છે કે આ સુવિધા કોઈ ધર્મ કે જ્ઞાતિ આધારિત નથી. અહીં સર્વ ધર્મ સમાનની ભાવના સાથે કોઈ પણ રાજ્યના, કોઈ પણ દેશના, કોઈ પણ ધર્મ કે જાતિના લોકોને આ સુવિધા આપવામાં આવે છે. રિસોર્ટના માલિક વિજયભાઈ જીવાણી છે. જેઓ સૌરાષ્ટ્રના જાણીતા બિઝનેસ મેન છે. તેમની પણ ભાવના એ જ છે કે દિકરીઓને પ્રોત્સાહન મળી રહે.

અહીં આવેલો છે રિસોર્ટ


સરકાર તરફથી તો બેટી બચાવો જેવી ઝુંબેશ છેલ્લા કેટલાક વર્ષોથી શરૂ થઈ, પરંતુ વિજયભાઈ જીવાણીના રિસોર્ટમાં છેલ્લા 12 વર્ષથી આ સુવિધા આપવામાં આવે છે. સાવજ રિસોર્ટની શરૂઆત 2008માં થઈ ત્યારથી જ કુંવારી દિકરીઓને રહેવાનું ફ્રી છે. આ સાવજ રિસોર્ટ પણ ગીરના અન્ય રિસોર્ટથી કમ નથી. એક ફાઈવ સ્ટાર હોટેલ જેવી બધી જ સુવિધાઓ અહીં મોજુદ છે. સાવજ રિસોર્ટ સાસણગીરમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસ એવા સિંહ સદનથી માત્ર 4 કિલોમીટર દૂર આવેલો છે. તો દેવાળિયા પાર્ક પણ અહીંથી માત્ર 12 કિલોમીટર દૂર છે.

Saturday, 11 May 2019

રમેશ મહેતા મને કહેતા કે ઉપરવાળા જમવાનું આપઃનરેશ કનોડિયા

રમેશ મહેતા મને કહેતા કે ઉપરવાળા જમવાનું આપઃનરેશ કનોડિયા
Image Courtesy : Youtube
આજે તો ગુજરાતી ફિલ્મો અર્બન થઈ ચૂકી છે. કેડિયા અને ઘોડામાંથી મર્સિડિઝ અને સ્ટાઈલિશ અવતારમાં આવી ચૂકી છે. જો કે ગુજરાતી ફિલ્મોમાં આ પરિવર્તન છેલ્લા કેટલાક વર્ષોમાં આવ્યું છે. તે પહેલા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી લગભગ મરણપથારીએ હતી. વચ્ચેના કેટલાક વર્ષો છોડી દઈએ તો ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, નરેશ કનોડિયા જેવા કલાકારોએ પોતાના દમ પર ગુજરાતી ફિલ્મોને જીવતી રાખી એમ કહી શકાય. આ જ સમયગાળાના દમદાર કલાકાર હતા રમેશ મહેતા.
ઓ હો હો હો... આ શબ્દો કાને પડતા એક જ ચહેરો યાદવ આવે. આ ચહેરો એટલે ગુજરાતી હાસ્યકલાકાર રમેશ મહેતા. એક સમય એવો પણ હતો જ્યારે રમેશ મહેતા વગરની ગુજરાતી ફિલ્મો બનતી જ નહોતી. પણ બહુ ઓછા લોકોને ખબર છે કે રમેશ મહેતા જેટલા સારા હાસ્યકલાકાર હતા એટલા જ સારા લેખક પણ હતા. 11 મે એટલે રમેશ મહેતાની પુણ્યતિથિ. ત્યારે ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન એવા નરેશ કનોડિયાથી લઈ ડિરેક્ટર્સ અને ક્રિટક્સ પણ રમેશ મહેતાને યાદ કરી રહ્યા છે.

ઉપરવાળા જમવાનું આપજે : નરેશ કનોડિયા

ગુજરાતી મિડ ડે ડોટ કોમ સાથે વાત કરતા નરેશ કનોડિયા રમેશ મહેતા સાથેની યાદો વાગોળે છે. નરેશ કનોડિયા કહે છે કે તેમના રમેશ મહેતા સાથેના સંબંધો ખાસ હતા. રમેશભાઈ સાથેની ક્ષણોને યાદ કરતા તેઓ કહે છે,'અમે લોકો જ્યારે લકી સ્ટુડિયો કે હાલોલ સ્ટુડિયોમાં શૂટિંગ કરતા હોય તો રોકાવાનું એવું થતું કે મારો રૂમ ઉપર હોય અને રમેશ મહેતાનો નીચે હોય. પણ જ્યારે રતન બા એટલે કે મારા વાઈફ જોડે હોય ત્યારે અમારા માટે જમવાનું તેઓ જાતે બનાવતા. એટલે શૂટિંગ પત્યા બાદરમેશ મહેતા હંમેશા કહેતા કે હે ઉપરવાળા જમવાનું થઈ ગયું હોય તો આપજે. અમે જ્યાં સુધી જોડે રહ્યા ત્યાં સુધી જોડે જમ્યા.'



મેં લખેલા ગંગાસતીના પાત્રો રમેશ મહેતાને ખૂબ ગમતાઃકેશવ રાઠોડ

તો રાઈટર, ડિરેક્ટર કેશવ રાઠોડ અને રમેશ મહેતા પણ ગાઢ મિત્રો હતા. રમેશ મહેતા અને કેશવ રાઠોડ નાટકના સમયથી જ એકબીજાને ઓળખતા પરંતુ કેશવ રાઠોડ કહે છે કે તેમણે મેં લખેલી ફિલ્મો રાજા ગોપીચંદ અને ગંગા સતીની કોમેડીને વખાણી ત્યારે હું ખુશખુશાલ હતો. કેશવ રાઠોડ કહે છે કે,'ગુજરાતી ફિલ્મોના હાસ્યના બેતાજ બાદશાહ રમેશ મહેતાએમની સાથેનો મારો પહેલો પરિચય તો જ્યારે તેઓ ભાંગવાડી થિયેટરની બાજુમાં કલ્પના દીવાનની બાજુમાં રહેતા હતા અને હસ્તમેળાપ નામની ફિલ્મના સંવાદો લખતા હતા ત્યારે થેયલો કારણ કે હું પણ ભાંગવાડી થિયેટરમાં દેશી નાટક સમાજમાં જુદા જુદા નાટકો લખતો હતો. એ પછી તેમનું જેસલ તોરલ રજૂ થયું અને તેમને સોનાનો સૂરજ ઉગ્યો. અને ચારે તરફ રમેશ મહેતા છવાઈ ગયા.

ઘણા વર્ષો પછી મેં પણ ગુજરાતી ફિલ્મોમાં લખવાનું શરૂ કર્યું અને લક્ષ્મી સ્ટુડિયોવાળા મેના ગુર્જરી પછી સતના પારખા નામની ફિલ્મ જે મેં લખી, તે ફિલ્મમાં રમેશ મહેતા અને હું નજીક આવ્યા. અમારી મિત્રતા થઈ. રમેશ મહેતા ખૂબ સારા લેખક હતા. મારા પ્રિય સંવાદ લેખક હતા. ખૂબ સરસ લખતા. અમારી જે મિત્રતા થઈ એમાં મે લખેલી સંખ્યાબંધ ફિલ્મોમાં રમેશ મહેતાએ એક્ટિંગ કરી. એક દિવસ રમેશ મહેતાએ મને કહ્યું કેશવ તે જે ફિલ્મો લખી તેમાં મને રાજા ગોપીચંદની કોમેડી અને ગંગા સતીની કોમેડી મારી જિંદગીની સર્વશ્રેષ્ઠ કોમેડી છે. ગંગાસતીમાં રમેશ મહેતા ત્રિપલ રોલમાં હતા. જ્યાં સુધી તેઓ જીવ્યા ત્યાં સુધી અમારી મિત્રતા અકબંધ હતી.

ત્રણ કલાકની વાતચીત પણ કોમેડીયન તરીકેના સવાલ ન પૂછવા દીધા: જીતેન્દ્ર બાંધણિયા

રમેશ મહેતાની ઓળખાણ મોટા ભાગે કોમેડિયન તરીકેની જ છે. પરંતુ તેમણે ગુજરાતી ફિલ્મોમાં સંવાદો પણ લખ્યા છે, ફિલ્મો પણ લખી છે. આ અંગેનો એક અનુભવ ગુજરાતી ફિલ્મોના સમીક્ષક જીતેન્દ્ર બાંધણિયા પણ શૅર કરી રહ્યા છે. જીતેન્દ્ર બાંધણિયાનું કહેવું છે કે,' રમેશ મહેતા એટલે ગુજરાતી ફિલ્મના સૌથી મોટા કોમેડીયન.. આવું આપણે સૌ જાણીએ છીએ.. પણ.. એમનું એક પાસું લગભગ દરેકથી અજાણ્યું છે, તે પાસું એટલે તેઓ બહુ સારા રાઈટર હતા.



જેસલ તોરલ હોય કે કુંવરબાઈનું મામેરું કે પછી રાનવઘણ હોય.. કેટકેટલીય ફિલ્મની ક્રેડિટ લાઇન વાંચો તો તેમાં તમને લેખક-સંવાદ લેખક તરીકે રમેશ મહેતાનું નામ વાંચવા મળે. મારે એક મુલાકાત માટે તેમની અપોઈન્ટમેન્ટ લેવાની હતી.. ત્યારે તેમણે કોમેડીયન તરીકેના એક પણ સવાલ નહી પૂછવાની શરત મૂકી, એ વખતે માત્ર રાઈટરના મુદ્દે સવા ત્રણ કલાકનો વાર્તાલાપ મારુ યાદગાર સંભારણું છે."

Monday, 6 May 2019

Movie Review:'બઉ ના વિચાર' ? કે જોતા પહેલા વિચારવું પડશે ? વાંચો કેવી છે ફિલ્મ

Movie Review:'બઉ ના વિચાર' ? કે જોતા પહેલા વિચારવું પડશે ? વાંચો કેવી છે ફિલ્મ
Image Courtesy : Facebook
સ્ટાર કાસ્ટઃ ભવ્ય ગાંધી, જાનકી બોડીવાલા, દેવર્ષિ શાહ, સંજય ગલસર, ભૂષણ ભટ્ટ, રાગી જાની

રાઈટર / ડિરેક્ટરઃ ઋતુલ પટેલ

પપ્પા તમને નહીં સમયાજ પછી ભવ્ય ગાંધીની આ બીજી ગુજરાતી ફિલ્મ છે. જો કે પહેલી ફિલ્મમાં તે એકલો જ લીડમાં હતો, અને આ ફિલ્મ મલ્ટી સ્ટારર છે. ઓવરલ ફિલ્મ સારી છે, ક્યાંક ક્યાંક લૂપહોલ્સ છે. પરંતુ એક વખત જોવાની તો મજા આવશે જ.

કહાની કુછ ઐસી હૈ...

ફરી એકવાર ગુજરાતી ફિલ્મોમાં એ જ મિત્રોની વાત છે. છેલ્લો દિવસ, દુનિયાદારી, બે યાર, શું થયું જેવી ફિલ્મોમાં પણ ફ્રેન્ડ્ઝની જ સ્ટોરી હતી, આમાં પણ એ જ બેઝ છે. જો કે સારી વાત એ છે કે થોડું જુદુ રખાયું છે. ફ્રેન્ડઝની મસ્તી છે, પરંતુ કોલેજની ટપોરી ગીરીથી દૂર રખાઈ છે. વાત એવા મિત્રોની છે, જેમને સાથે મળીને બિઝનેસ કરવો છે. આ માટે આખી ટીમ એક રિયાલિટી શોમાં ભાગ લે છે. પછી રિયાલિટી શૉની સ્ટ્રગલ અને એઝ એસ્પેક્ટેડ ફ્રેન્ડ્ઝ વચ્ચેની ઝઘડા છે. આમ જોવા જાવ તો સ્ટોરી લાઈન નવી નથી. પણ સારી વાત એ છે કે તેને થોડી અલગ રીતે રજૂ કરાઈ છે. એટલે જોવાની મજા પડે છે. જો કે ફિલ્મ બે વાર ફ્લેશબેકમાં જાય છે. ત્યારે કનફ્યુઝન થાય છે. સ્ટોરીમાં ટ્વિસ્ટ છે, પણ થોડું નબળું છે.


એક્ટિંગના આટાપાટા

ભવ્ય ગાંધી હવે પહેલી ફિલ્મ કરતા મેચ્યોર દેખાય છે. ફરી એકવાર પેલા નાના 'ટપુડા' જેવી સ્માઈલ તમને કેટલાક સીનમાં જોવા મળશે (ધ્યાનથી જોશો તો જ!) દેવર્ષિ શાહ પાસેથી થોડી વધુ અપેક્ષા હોય, જો કે તેને સાવ ઈગ્નોર કરી શકાય એવા તો નથી જ. જાનકી બોડીવાલાના રોલમાં ખાસ દમ નથી, તેમ છતાંય તેની હાજરી તો દેખાય જ છે. સંજય ગલસર ફરી એકવાર દમદાર છે. શુભઆરંભ બાદ અહીં પણ તે પહેલા જ સીનથી મજા કરાવે છે. ભૂષણ ભટ્ટ અને સંજય ગલસર છેલ્લા સીન સુધી હસાવે છે. અને બોનસ પોઈન્ટ છે રાગી જાની. કૂલ દાદાનો રોલ તેણે પર્ફેક્ટ પાર પાડ્યો છે. ફરી એકવાર રાગી જાની આ ફિલ્મથી ફૂલ ફોર્મમાં દેખાયા છે. એમાંય રાગી જાનીની એન્ટ્રી જોઈને તો ખડખડાટ હસી પડશો.

દમદાર ડિરેક્શન પણ..

માત્ર 21 વર્ષે ફિલ્મ ડિરક્ટ કરવી, એ પણ સ્ટોરી પોતાની જ લખેલી હોય. અને પાછું મ્યુઝિક પણ કમ્પોઝ કરવું એ નાની સૂની વાત નથી. પહેલી જ ફિલ્મ હોવા છતાંય ઋતુલ પટેલનું ડિરેક્શન સુંદર છે. કેટલાક આઈડિયાઝ મસ્ત છે, જેમ કે શરૂઆતની પ્લેટ્સમાં અસોસિયેટેડ બાય, પાર્ટનર્સના નામ આવે ત્યારે દર્શકો બોર થતા હોય છે, પણ આ ફિલ્મમાં અહીંથી બેક ગ્રાઉન્ડમાં ડાયલોગ્સ શરૂ થાય છે. જે તમને ત્યાંથી જ ઈન્ટ્રેસ્ટ પાડે છે. અમદાવાદની ભાષા પકડવાનો પ્રયત્ન થયો છે, પરંતુ ચાંદવા જેવા શબ્દ સિવાય આ પ્રયત્ન સફળ નથી થયો. પણ વનલાઈનર્સ સારા છે. ઓવરઓલ ડિરેક્શન સારું છે, બસ કેટલાક સીનમાં લૂપ હોલ્સ લાગે.

અહીં લોચા પડ્યા !

સ્ટોરીમાં બે ફ્લેશબેક કન્ફ્યૂઝન ક્રિએટ કરે છે. તો થોડું ઘણું હમ્બગ પણ લાગે. શરૂઆતમાં વરુણનું પાત્ર કે છે કે છેલ્લા રાઉન્ડમાં જ બધાને આઈડિયા ખબર પડશે તો સવાલ એ છે કે રિયાલિટી શૉના જુદા જુદા રાઉન્ડમાં જુદા જુદા ટાસ્ક છે, તો પહેલેથી કેવી રીતે નક્કી થાય કે છેલ્લો રાઉન્ડ શું હશે ? મુશ્કેલીઓ આવે છતાંય આસાનીથી ટીમ જીતતી જાય. ક્યારેક તો લાગે જ નહીં કે આ લોકોને રિયાલિટી શૉ ટફ પડી રહ્યો છે. હાર્દિકનુ ગ્રે શેડનું પાત્ર હજી થોડુ મજબૂત કરીને સ્ટોરી હજી વધુ ઈન્ટ્રેસ્ટિંગ બની શક્તી હતી.


પણ ઓવરઓલ વાત કરીએ તો આપણે ફિલ્મ સાથે જોડાઈ શકીએ છીએ. કેટલાક સીનમાં ડાયલોગ વગર પણ કોમેડી ક્રિએટ કરાઈ છે. બધું મળીને એક વખત તો જોવાય જ.


મિડ ડે મીટર : 3 / 5

Sunday, 5 May 2019

PM Narendra Modi બાયોપિકઃમારી મમ્મીએ કહ્યું હતું કે ફિલ્મ નહીં બને-સંદીપ સિંઘ

PM Narendra Modi બાયોપિકઃમારી મમ્મીએ કહ્યું હતું કે ફિલ્મ નહીં બને-સંદીપ સિંઘ
(ડાબેથી) સંદીપ સિંઘ, વિવેક ઓબેરોય અને ઓમંગકુમાર
1) એક જર્નલિસ્ટથી ડિરેક્ટર, પ્રોડ્યુસર સુધીની સફર કેવી રહી છે, કે પછી એમ કહો કે લાઈન કેમ ચેન્જ કરી ?

હું ક્યારે જર્નલિસ્ટ બનવા આવ્યો જ નહોતો. મારો ગોલ નક્કી જ હતો. કે મારે ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મો બનાવી છે. ભલે સ્પોટબોય બનવું પડે કે પ્રોડ્યુસર. મને ખબર હતી કે કપૂર કે ખાન મારી સરનેમન નથી એટલે કોઈ મને ભાવ નહીં આપે. એટલે મેં જર્નલિઝમ સિલેક્ટ કર્યું. જર્નલિઝમ દ્વારા લોકોના ઘરે ગયો મળ્યો. ખૂબ ફિલ્મો જોઈએ. ઘણું શીખ્યો. હું નક્કી કરતો હતો કે હું કોનો ઈન્ટરવ્યુ કરીશ. મેં દરેક કેટેગરીના બેસ્ટ લોકોના ઈન્ટરવ્યુ કર્યા છે. મારે જે કરવું હતું એ બેસ્ટ જ કરવું હતું, ભલે સમય લાગે. મને વર્ષમાં 50 ફિલ્મો કરવા માટે ઓફર આવે છે. પણ મારે બનાવવા ખાતર ફિલ્મો નથી બનાવવી. મારે કંઈક બનવા માટે ફિલ્મો બનાવવી છે.

2) પહેલીવાર ક્યારે લાગ્યું કે મોદીજી પર પિક્ચર બનાવવું છે ?

મેં મોદી વિશે વાંચ્યું, રિસર્ચ કર્યું તો લાગ્યુ કે ભઈ આ તો ઝીરો ટુ હીરોની સ્ટોરી છે. મને લાગ્યું કે મારે આ સ્ટોરી લોકો સુધી પહોંચાડવી જોઈએ એટલે દરેક ચાવાળો, પાન વાળો બીડીવાળો વિચારી શકે કે જો હું વિચારું છું તો હું કંઈક બની શકું છું. દેશ માટે કંઈક કરવાની ચાહ એમની પહેલાથી જ હતી. એટલે તેઓ પોતાનું કામ કરતા ગયા. 40 વર્ષ લાગ્યા પણ આજે પીએમ મોદીએ જગ્યાએ છે જ્યાં આખો દેશ તેમને જોઈ રહ્યો છે. આ ઈન્સપાયરિંગ ઘટના છે. મારે આ ઘટના પહોંચાડવી હતી એટલે મેં ફિલ્મ બનાવી.

3) આ એક બાળકની સફળતાની સ્ટોરી છે કે પછી એક પોલિટિશયનની સ્ટોરી છે ?

આ એક વ્યક્તિની સ્ટોરી છે. એક પુત્ર, એક ભાઈ એક સેવકની સ્ટોરી છે. વડાપ્રધાન તો પછી આવે છે. આ એક વિચારધારાની સ્ટોરી છે.

vivek modi biopic

4) ડિરેક્ટર તરીકે ફરીવાર ઓમંગકુમારને જ કેમ પસંદ કર્યા ?

ઓમંગે મારી સાથે સરબજીત, મેરીકોમ સહિતની બાયોપિક્સ બનાવી છે. આ મારી ચોથી બાયોપિક છે. ઓમંગકુમાર બાયોપિક સારી ડિરેક્ટ કરે છે. ઓમંગ સાથે હું ખૂબ કમ્ફર્ટેબલ છું. એટલે મેં વિચાર્યુ કે એની સાથે જ કામ કરી લઉ.

5) શૂટિંગ દરમિયાન કોઈ એવી સ્થિતિ હતી કે કોઈ એવું ક્રિએટિવ ડિસ્કશન તમારી અને ઓમંગ વચ્ચે થયું હોય? કોઈ અગ્રેસિવ ડિસ્કશન ?

વિચારો જ્યાં સુધી અલગ ન પડે ત્યાં સુધી બે લોકો એક નથી થઈ શક્તા. એટલે ઓમંગ કંઈક અલગ બોલે, હું કંઈક અલગ કહું, એ ચર્ચાનું પરિણામ જ સ્ક્રીન પર જોવા મળે છે. મારા પોલિટિકલ વિચારો અલગ છે, ઓમંગના અલગ છે. ઓમંગ પરિસ્થિતિમાં સુંદરતા જુએ છે, હું રિયાલિટી જોઉં છું. આ મિક્સ્ચર છે એ ભયંકર છે. જ્યાં જે સાચુ છે, એનું ડિસિઝન તમને પડદા પર જોવા મળશે.

6) જ્યારે વિવેક ઓબેરોયનો લૂક રિવીલ થયો ત્યારે લૂક ખૂબ જ ટ્રોલ થયો ત્યારે તમારું રિએક્શન કેવું હતું ?

જો ભાઈ, સોશિયલ મીડિયા સાથે મારે કોઈ લેવા દેવા નથી. વર્ચ્યુઅલ વર્લ્ડમાં હું માનતો નથી. ફિલ્મો સોશિયલ મીડિયા નહોતું ત્યારે પણ ચાલતી હતી. મારું કામ ફિલ્મ બનાવવાનું છે. હું બધા લોકોને ખુશ ન કરી શકું. હું અહીં ફિલ્મ બનાવવા આવ્યો છુ. કેવી લાગે છે, સ્વીકારવી કે નહીં એ લોકોએ નક્કી કરવાનું છે. હું સમય સાથે નથી બદલાતો. જો હું બધાની રાહ જોઈશ તો હું અલીગઢ, સબરજીત જેવી ફિલ્મો ક્યારેય નહીં બનાવી શકું. મારે વાર્તા કહેવી છે. મને વાર્તા ગમે તો હું બનાવી દઈશ. અને લોકો સારુ પણ બોલ્યા છે. એટલે હું ફક્ત પોઝિટિવિટી તરફ જ ધ્યાન આપું છું.

મને મારી માએ, ઓમંગે કહ્યું હતું કે આ ફિલ્મ ન બની શકે. ના બનાવીશ. આજે ફિલ્મ બનીને તૈયાર છે. હવે લોકો શું કહેશે. ? મને પણ લોકોએ કહ્યું હતું કે તુ ઈન્ડસ્ટ્રીને લાયક નથી, તુ ક્યારેય અહીં આવી શકે. મેં ત્યારે નક્કી કર્યું હતું કે કંઈક બનીશ. પૈસા નહોતા, ટ્રેનના છાપરે બેસતો હતો. ખાવા પીવા નહોતું મળતું. એ દિવસો જોયા છે, તો આ તો શું છે.

7) મોદીજીને ક્યારેય તમે મળ્યા છો ?

પહેલી વાત તો હું ક્યારેય પીએમ મોદીને મળ્યો જ નથી. પીએમ મોદીને મળીને જાણવા પડે તો હું ફિલ્મ મેકર નથી. એમનું જીવન ખુલી કિતાબ જેવું છે. તમારી પાસે બેઝ રેડી હોય ત્યારે તમારે એ વિચારવાનું હોય છે કે ફિલ્મ કેવી રીતે દર્શાવવી છે. ફિલ્મ એક વિચાર હોય છે. ફિલ્મ મેકરના વિચારો કેવા છે એના પર ડિપેન્ડ છે. મારે સ્ટોરી કહેવી છે અને હું કહીશ.

pm narendra modi biopic

8) ગુજરાતમાં શૂટિંગ કરવાનો અનુભવ કેવો રહ્યો ?

ફેન્ટાસ્ટિક. ભારતના દરેક લોકોએ ગુજરાત જવું જોઈએ. આમ પણ અત્યારે તે હાઈએસ્ટ ટુરિઝમ પ્લેસ છે. લોકોએ ત્યાં શૂટિંગ કરવી જોઈએ. ગુજરાતમાં ખાણીપીણી, સ્વચ્છતા બધું જ સારું છે. લોકો કમ્ફર્ટેબલ છે. લોકેશન ખૂબ સરસ છે, જુદા જુદા છે. દરેક ફિલ્મો ગુજરાતમાં શૂટ થવી જોઈએ.


9) તમને નથી લાગતું કે ફિલ્મ પ્રોપેગન્ડા ફિલ્મ બની ગઈ છે ?
અરે મને લાગે છે ફિલ્મનું ટાઈટલ જ બદલીને પ્રોપેગન્ડા રાખી દેવું જોઈએ. પ્રોપેગન્ડા ફિલ્મ, બીજેપીના પૈસે બનેલી, હું ભાજપનો માણસ છું આ બધી જ વાતો હું સાંભળી ચૂક્યો છું. ભાઈ ન તો આ પ્રોપેગન્ડા ફિલ્મ છે, ન તો હું ભાજપનો માણસ છું, ન તો ભાજપે ફંડ આપ્યું છે. આ એક એન્ટરટેઈનમેન્ટ છે. મારે એમાંથી પૈસા કમાવાના છે. કોઈ દિવાળીએ રિલીઝ કરે, કોઈ ક્રિસમસ પર કરે એટલે મારે આ ફિલ્મ અત્યારે રિલીઝ કરવી હતી. સલમાનને પણ ઈદની જરૂર પડે, તો મારે કેમ નહીં. હું કેમ ન વિચારું એવું ? ગુનો છે ?

10) તમને એવું નથી લાગતું કે પિક્ચર ખૂબ ઉતાવળમાં બની ગઈ ?

આ પણ પાપ છે ને. ઓછા દિવસમાં પૈસા બચાવીને ફિલ્મ બનાવવી છે એ પણ બરાબર નથી નહીં. 3 વર્ષથી સ્ક્રિપ્ટ લખાતી હતી, રિસર્ચ થતું હતું, લોકેશન હન્ટિંગ થતું હતું. લોકોએ પહેલા એ જાણવું જોઈએ. કેટલા ડ્રાફ્ટ લખાયા. આ બધું કર્યા બાદ ફિલ્મ 38 દિવસમાં બની છે. પરંતુ લોકોને એમાં પણ તકલીફ છે. તો શું હું લોકો માટે 200 દિવસમાં ફિલ્મ બનાવું ? મારા 38 દિવસો વેલ પ્લાન્ડ હતા. એક્ટર્સ ટાઈમસર આવતા હતા. એક્ટર લેટ આવે તો ફિલ્મના શૂટિંગના દિવસો બને છે. અને મારો એક ફંડા છે. તમામ ડિપાર્ટમેન્ટના એચઓડી નવા હતા. એટલે ઈગો નહોતો નડતો. જેટલા આસિસટન્ટ હતા એ બધાની જ પહેલી ફિલ્મ છે. Expireince kills and destroy success. હું નવા લોકોમાં વિશ્વાસ રાખું છું. એટલે ફિલ્મનું શૂટિંગ સ્મૂધ ચાલે છે.

11) ફિલ્મ ફક્ત બાયોપિક છે કે ક્રિયેટિવ લિબર્ટી લીધી છે ?

કોઈ પણ બાયોપિક સીધે સીધી બાયોપિક ન બની શકે. સંજુ, ભાગ મિલ્ખા ભાગ, સરબજીત, મેરીકોમ કોઈ પણ ફિલ્મ હોય. કોઈ ફિલ્મ બાયોપિક હોય, પણ એ ઓડિયન્સ માટે બને છે. ફિલ્મ બતાવવા માટે એક નજર જોઈએ.

12) ફિલ્મમાં મોદીજીના જીવનના વિવાદો જોવા મળશે ? જેમ કે સોહરાબુદ્દીન કેસ ?

આ ફિલ્મમાં બધું જ છે. એક વ્યક્તિનું જીવન ઉતાર ચડાવ વાળું હોય છે. પોઝિટિવ નેગેટિવ, ફેમિલી, સ્કૂલ, ગોધરાકાંડ, અક્ષરધામ બધું જ આ ફિલ્મમાં છે.

13) પત્રકારોમાં પણ બે ભાગ સ્પષ્ટ દેખાય છે. એઝ અ જર્નલિસ્ટ તમે શું માનો છો ?

એઝ જર્નલિસ્ટ હું એક વ્યક્તિની સાથે છું, હું વિચારધારાની સાથે છું. હું તેમના કામની સાથે છું. મને મોદીજી લીડર તરીકે ખૂબ પસંદ છે. હું માનું છું તેમણે છેલ્લા 5 વર્ષમાં ઘણું કામ કર્યું છે. દેશને આંતરરાષ્ટ્રીય લેવલે મૂક્યો છે. દરેક ડિપાર્ટમેન્ટને સિસ્ટમવાઈઝ કરવાની કોશિશ કરી છે. આ દેશને એવા લીડરની જરૂર છે જે દેશને દિશા આપી શકે. હવે તે મોદી હોય, રાહુલ ગાંધી હોય કે માયાવતી કે ચંદ્રાબાબુ એનો કોઈ ફરક નથી પડતો.

14) મોદીજીની પર્સનાલિટી લાર્જર ધેન લાઈફ છે, તમે એમને નોર્મલ વ્યક્તિ કેવી રીતે બતાવી શક્શો ?

પિક્ચર જોશો તો સમજાશે કે તેઓ એક નોર્મલ હ્યુમન બીઈંગ છે, જે મોટી પર્સનાલિટી બન્યા છે. ચા વેચતા હતા તો વેચતા હતા. જ્યારે તેમના જીવનની આખી વાત 2 કલાકમાં કહી છે, ત્યારે એ જોઈને તમે પણ ઈન્સ્પાયર થશો કે મારે પણ કંઈક કરવું છે.

15) તમે ખૂબ બાયોપિક બનાવી છે, આગળનો શું પ્લાન છે. ?


બાલાસાહેબ મારી પહેલી પસંદગી છે. પણ મારે જે બે લોકો પર બાયોપિક બનાવવી હતી, એ બંને બની ચૂકી છે. ધોની અને બાલાસાહેબ પર મારે બનાવવી હતી. જો મને મોકો મળ્યો તો... (અચાનક અટકી જાય છે.) હું એક સમયે એક જ વસ્તુ વિચારુ છું. મેં પણ જુદી જુદી ફિલ્મો બનાવી છે. એટલે આગળ પણ એક ફિલ્મ જ હશે. મને નથી ખબર શું બનાવીશ. પણ લોકો વિચારવા મજબૂર થાય તેવી ફિલ્મ બનાવીશ.

Saturday, 4 May 2019

રાજકોટનું એવું પાન હાઉસ, જે પાન-મસાલાની સાથે આપે છે કેન્સરની ચેતવણી !!

રાજકોટનું એવું પાન હાઉસ, જે પાન-મસાલાની સાથે આપે છે કેન્સરની ચેતવણી !!
રાજકોટનું કેન્સર પાન હાઉસ
રાજકોટ જેટલું ફેમસ તેની બપોરની 12થી 4ની ઉંઘ માટે છે, તેટલું જ ફેમસ પાન માવા માટે પણ છે. અને હવે રાજકોટમાં એક એવું પાન હાઉસ ખુલ્યુ છે, જે પાન મસાલા આપતા પહેલા ગ્રાહકોને ચેતવણી આપે છે. જો તમે રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલા આ પાન હાઉસ પર પહોંચો તો સૌથી પહેલા તો દુકાનનું નામ જ છે કેન્સર પાન હાઉસ. આ પાન હાઉસની થીમ જ એવી ડરામણી રખાઈ છે, જે તમને ગુટખા ખાવાના ગેરફાયદા દર્શાવે છે. દુકાનની અંદર દરેક જગ્યાએ હાથકડી, ખોપડીઓ લગાવીને સ્કેરી હાઉસ જેવો માહોલ ઉભો કરાયો છે.

cancer pan house

પાન મસાલા આપતા પહેલા અપાય છે ચેતવણી

કેન્સર પાન હાઉસ હવે આખા રાજકોટમાં ફેમસ થઈ ચૂક્યુ છે. આ પાન હાઉસ ચલાવે છે મોહિત પોપટ નામના વ્યક્તિ. પોતાના આ વિચિત્ર પાન હાઉસ વિશે વાત કરતા મોહનભાઈ કહે છે કે લોકોને પાન ગુટખા ખાવાથી થતા નુક્સાનની માહિતી મળે એટલા માટે અમે આ થીમ રાખી છે. અમારી દુકાનમાં લોકો આવે તેમને પાન મસાલા કે ફાકી આપતા પહેલા ચેતવણી આપવામાં આવે છે કે આ ખાવાથી તમને કેન્સર થઈ શકે છે. તેમ છતાંય જો તે ન માને તો જ પાન મસાલા આપવામાં આવે છે.

15-20 કસ્ટમર છોડી ચૂક્યા છે આદત

મોહિત પોપટના કહેવા પ્રમાણે આમ કરવાથી તેમના 15-20 કસ્ટમર પોતાની પાન મસાલા ખાવાની આદત છોડી ચૂક્યા છે. અને મોહિતભાઈ હજી વધુ લોકો પાન મસાલા છોડે તે માટે પ્રયત્નશીલ છે. આ માટે તેમને અન્ય ઓપ્શન પણ આપવામાં આવે છે. જેમાં કેસર, રોઝ, પાઈનેપલ, ગ્રીન ગોલ્ડ, સ્ટ્રોબેરી, રાતરાણી અને નવરત્ન જેવા અવનવી ફ્લેવરના પાન આપવામાં આવે છે. મીઠી ફાકીમાં પણ મિન્ટ વિનાના મધના અલગ - અલગ ફ્લેવરના પાવડર નાખવામાં આવે છે.


500 લોકોને વ્યસન છોડાવવાનો ટાર્ગેટ


મોહિતભાઈ મૂળ ઓટો કન્સલટન્ટ છે. પરંતુ તેમના એક મિત્રના મામાને કેન્સરની બીમારી હતી. મિત્રો સાથે આ ચર્ચા દરમિયાન જ મોહિતભાઈને કંઈક કરવાનો વિચાર આવ્યો અને કેન્સર પાન હાઉસનો જન્મ થયો. મોહિત ભાઈ કહે છે કે તેમને 500 લોકોને વ્યસન છોડવવાનો ટાર્ગેટ છે. મોહિતભાઈના પરિવારમાં કોઈને કોઈ જ પ્રકારનું વ્યસન નથી. મોહિતભાઈના ગ્રાહકો પણ તેમના આ પ્રયાસને બિરદાવે છે. જો કે ખૂબ ઓછા ગ્રાહકો આ વ્યસન છોડી શકે છે.

Thursday, 2 May 2019

સુરેશ રાજડાઃરંગભૂમિને નવા કલાકારો આપવા નિસ્વાર્થ ભાવે કામ કરે છે આ કલાકાર


સુરેશ રાજડાઃરંગભૂમિને નવા કલાકારો આપવા નિસ્વાર્થ ભાવે કામ કરે છે આ કલાકાર
સંજય ગોરડિયા સાથે સુરેશ રાજડા

સુરેશ રાજડા, આ નામ ગુજરાતી નાટકો, રંગભૂમિના તખ્તા પર અજાણ્યું નથી. જો તમે ગુજરાતી અખબારોમાં નાટકની જાહેરાતો જોતા હશો તો તમે અનેક નાટકોમાં 'સુરેશ રાજડા લિખિત-દિગ્દર્શિત' આ શબ્દો જરૂર વાંચ્યા હશે. એક આખી પેઢી સુરેશ રાજડાના નાટકો જોઈને મોટી થઈ છે. ફક્ત દર્શકો જ નહીં, આજના જાણીતા સેલિબ્રિટી કલાકારોની એક પેઢી પણ છે, જેમણે કરિયરની શરૂઆતમાં સુરેશ રાજડાના નાટકોમાં કામ કર્યું છે.

170 કરતા વધુ નાટકો સુરેશભાઈ ડિરેક્ટ કરી ચૂક્યા છે. અને અંદાજે 60 જેટલા નાટકો તેમણે લખ્યા છે. જો તેમના હિટ નાટકોની યાદી કરીએ તો 2-4 ફકરા થઈ જાય, પરંતુ તેમ છતાંય તેમના સૌથી જાણીતા નાટકોની વાત કરીએ મેરેજ ફિક્સિંગ, સખણાં રહેજો રાજ, કુંવર વહેલા રે પધારજો અને હોનારત આ નામ તો મૂકવા જ પડે. તેમના લખેલા કેટલાક નાટકો આજે પણ તખ્તા પર ભજવાય છે. જો કે હાલ તો ઉંમરને કારણે તેમના કામને થોડીક અસર પહોંચી છે. પરંતુ આ કલાકારને પોતાની રંગભૂમિ માટે કામ કરતા ઉંમર પણ રોકી શકી નથી.

suresh rajda

પોતાની કરિયરને યાદ કરતા સુરેશ રાજડા કહે છે કે મારી કરિયરની શરૂઆત આમ તો એક્ટર તરીકે થઈ હતી. જી ટી હાઈસ્કૂલમાં સ્કૂલિંગ કર્યા બાદ હું જૈન કોલેજમાં ગ્રેજ્યુએશન કરતો હતો. ત્યારે તે જમાનાના જાણીતા એક્ટર ડિરેક્ટર પ્રવીણ જોશી એ જ કોલેજમાં રિહર્સલ કરતા. પ્રવીણ જોશી તે સમયે INTના ડિરેક્ટર હતા. હું પણ કોલેજમાં એકાંકીઓમાં ભાગ લેતો. એટલે મને એક્ટિંગમાં અને નાટકમાં પહેલેથી જ રસ ખરો. હવે હું પ્રવીણ જોશીના નાટકના રિહર્સલમાં આખો દિવસ બેસી રહેતો. તેઓ જે કામ આપે એ કરતો. પણ એ તો એમના કામમાં વ્યસ્ત હોય. આખરે એક દિવસ નસીબ જોગે એમના નાટકમાં રિપ્લેસમેન્ટ આવ્યું. આ નાટકમાં દીના પાઠક જેવા દિગ્ગજ અભિનેત્રી અને ખુદ પ્રવીણ જોશી એક્ટિંગ કરતા હતા. નાટકની અમદાવાદની ટૂરમાં એક કલાકાર જઈ શકે એમ નહોતો. એટલે પ્રવીણભાઈને કોઈએ કહ્યું કે આ છોકરો જે રિહર્સલમાં બેસી રહે છે, એ પણ એક્ટિંગ કરે છે. એટલે પ્રવીણભાઈએ મને મળવા બોલાવ્યો, અને કહ્યું કે કેટલા દિવસમાં તૈયાર થઈશ. મેં જવાબ આપ્યો અર્જન્ટ જરૂર હોય તો કાલે જ. બસ એ ઈમ્પ્રેસ થઈ ગયા અને રોલ મળી ગયો. આ જ નાટકમાં મારી એક્ટિંગ નોટિસ થઈ અને યાત્રા શરૂ થઈ ગઈ.

suresh rajda

સુરેશ રાજડા 35 વર્ષ સુધી INTના જુદા જુદા નાટકોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે, સંખ્યાબંધ નાટકો ડિરેક્ટ કરી ચૂક્યા છે. ડિરેક્ટર તરીકે પણ તેમને જે બ્રેક મળ્યો તે પણ આકસ્મિક જ હતો. INTએ એકાંકી સ્પર્ધાના કલાકારોને લઈ એક નાટક ભજવવાનું નક્કી કર્યું અને ડિરેક્ટર રીકે સુરેશભાઈને પસંદ કરાયા. આ નાટક હતું વેંટ છેટું મોત. જેની સ્ટારકાસ્ટમાં હતા આજના જાણીતા એક્ટર્સ પરેશ રાવલ અને સિદ્ધાર્થ રાંદેરિયા. પહેલા જ ડિરેક્ટ કરેલા નાટકને પ્રાઈઝ મળ્યું અને સુરેશભાઈ ડિરેક્ટ તરીકે પણ પંકાઈ ગયા. પછી તો સુરેશભાઈ પરેશ રાવલ, સરિતા જોષી, પદ્મારાણી, રોહિણી અટંગણી, રીમા લાગુ, કેતકી દવે, સિદ્ધાર્થ રાંદેરિયા, જતીન કણકીયા, ટીકુ તલસાણિયા જેવા શાનદાર કલાકારોને પણ અનેક નાટકોમાં ડિરેક્ટ કર્યા. જો કે ભાષા પર પ્રભુત્વના કારણે તેમણે પાછળથી નાટકો લખવાની પણ શરૂઆત કરી. અને તેમણે લખેલા નાટકો પણ હિટ રહ્યા.

suresh rajda

સુરેશ રાજડા માને છે કે માત્ર નાટકો લખીને કે નાટકો ભજવીને અથવા ડિરેક્ટ કરીને તેમણે રંગભૂમિ માટે કોઈ ખાસ કામ કર્યું નથી. એટલે જ તેઓ તખ્તા માટે એક આખી ભાવિ પેઢી તૈયાર કરી રહ્યા છે. સુરેશ રાજડાએ જાણે ગુજરાતી નાટકોને સારા કલાકારો આપવા માટે ભેખ લીધો છે. તેઓ મુંબઈમાં દર વર્ષે એક વર્કશોપ યોજે છે. જેમાં નાટકના જુદા જુદા પાસાં સમજવા અને શીખવા ઈચ્છતા લોકોને નિશુલ્ક તાલીમ આપવામાં આવે છે. એ પણ 10 દિવસ સુધી રોજ સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી. અને આ વર્કશોપમાં દિગ્ગજ કલાકારો સિદ્ધાર્થ રાંદેરિયા, અપરા મહેતા, કૌસ્તુભ ત્રિવેદી, સંજય ગોરડિયા, પ્રવીણ સોલંકી, સંજય છેલ જેવા માંધાતાઓ આવીને તાલીમ આપે છે.

સુરેશભાઈ આ વર્કશોપ વિશે વાત કરતા કહે છે કે INTએ મને ડિરેક્શનનો વધુ અભ્યાસ કરવા માટે લંડન મોકલ્યો. એ પછી મને લાગ્યું કે આપણી રંગભૂમિને હજી વધુ સમૃદ્ધ કરવાની જરૂર છે. એટલે જ મેં આ ફ્રી વર્કશોપની શરૂઆત કરી. સુરેશભાઈની આ વર્કશોપ પણ ગુજરાતી રંગભૂમિને કેટલાક જાણીતા કલાકારો આપી ચૂકી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દયાભાભી ઉર્ફે દિશા વાકાણી પણ આવી જ વર્કશોપમાં એક્ટિંગની તાલીમ લઈ ચૂક્યા છે. આ વખતે પણ તેમની વર્કશોપ ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહી છે.

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...