Thursday 9 July 2020

શું તમને ખબર છે સુનીલ દત્ત અને નરગીસની લવસ્ટોરી ગુજરાતથી શરૂ થઈ હતી?


તસવીર સૌજન્યઃ ક્વીન્ટ.કોમ


નરગીસ બોલીવુડના ગ્રેટ એક્ટ્રેસ અને સુનીલ દત્તની લવસ્ટોરી કેવી રીતે શરૂ થઈ એ કિસ્સો જગજાણીતો છે. હવે તો સંજુ જોયા પછી આપણને કદાચ દત્ત ફેમિલીની બીજી બાબતો પણ ખબર પડી છે. નરગીસજી પોતાના ત્રણે સંતાનો સંજુ, અંજુ (નમ્રતા) અને પ્રિયા દત્તને ખૂબ જ પ્રેમ કરતા હતા. અને બાળકો માટે તેમણે પોતાની ધોમધખતી ફિલ્મી કરિયર પણ છોડી દીધી. જો કે નરગીસજી અને સુનિલ દત્તની લવસ્ટોરીનો રંગ પણ કંઈક આવો જ છે. જેટલો પ્રેમ બાળકો માટે હતો એટલો જ નરગીસજીને સુનિલ દત્ત માટે હતો.

કેમ સુનિલ દત્તને ડુંગળી-લસણ ખવડાવતા હતા નરગીસ?
       
        એટલે સુધી કે જ્યારે સુનિલ દત્તને ફિલ્મમાં ઈન્ટિમેટ સીન શૂટ કરવાના હોય તો નરગીસજીને ઈનસિક્યોરીટી રહેતી. આમ તો નરગીસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુનિલ દત્ત કરતા સિનીયર હતા. બંને પહેલીવાર મળ્યા ત્યારે નરગીસ જી 46 ફિલ્માં કામ કરી ચૂક્યા હતા. એટલે સ્વાભાવિક છે કે સેટ પર કેવો માહોલ હોય એ તેમને ખ્યાલ જ હોય. સુનિલ દત્તના મિત્ર રાજ ગ્રોવરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું જ્યારે ઈન્ટિમેટ સીન શૂટ થવાનો હોય ત્યારે નરગીસ જી સુનિલ દત્તને કાંદા અને લસણવાળુ ભોજન આપતા, જેથી હિરોઈન્સ એમનાથી દૂર રહે.

ગુજરાતની ધરતી પર થઈ શરૂઆત

        આવી મસ્ત મસ્ત લવસ્ટોરીની શરૂઆતમાં ગુજરાતની ધરતી કારણરૂપ હતી. જી હાં, ફિલ્મ મધર ઈન્ડિયાના શૂટિંગમાં આગ લાગી અને સુનિલ દત્તે નરગીસને બચાવ્યા, બાદમાં બંનેએ લગ્ન કર્યા આ વાત બધ્ધે જ ચર્ચાયેલી છે. રસપ્રદ વાત એ છે કે આ ઘટના બની ત્યારે મહેબૂબ ખાનની આઈકોનિક ફિલ્મ મધર ઈન્ડિયાનું શૂટિંગ ગુજરાતના બિલીમોરામાં ચાલતુ હતું. ફિલ્મમાં આગ લાગવાનો સીન શૂટ કરવાનો હતો, અન ડિરેક્ટર મહેબૂબ ખાનના સમજાવવા છતાંય નરગીસજીએ બોડી ડબલ યુઝ કરવાની ના પાડી દીધી. પરંતુ શૂટિંગ સમયે પવનની દિશા બદલાઈ અને નરગીસજી આગમાં ફસાઈ ગયા. સુનિલ દત્તે પોતાના જીવની પરવા કર્યા વગર નરગીસને બચાવ્યા. જો કે આમાં સુનિલ દત્તે થોડી ઈજા થઈ. પોતાને બચાવનાર સુનિલ દત્તની નરગીસજીએ જાત્તે સેવા કરી. અને આ દરમિયાન બંને મિત્રો બન્યા. સાથી કલાકારો કરતા સવાઈ ઓળખાણ થઈ. 



નરગીસના ઘરની સામે બેસી રહેતા સુનિલ દત્ત  

સુનિલ દત્ત પોતાના કોલેજકાળમાં નરગીસના ઘરની સામે મરીન ડ્રાઈવની પાળી પર બેસી રહેતા. એક ઈન્ટરવ્યુમાં સુનિલ દત્તે સ્વીકાર્યુ હતુ કે નરગીસની બ્રિટિશ સ્પોર્ટ્સ કાર બિલ્ડીંગની બહાર નીકળે એ જોવા તે મિત્રો સાથે ખાસ બેસી રહેતા. અને વિધિના વિધાન તો જુઓ સુનિલ દત્તે નરગીસને પ્રપોઝ પણ કારમાં જ કર્યા હતા.  એક દિવસ સુનિલ દત્ત નરગીસને ઘરે મૂકવા ગયા, અને કહ્યું કે મને તું ગમે છે, મારે તારી સાથે લગ્ન કરવા છે. નરગીસ કંઈ કહ્યા વગર ઘરમાં જતા રહ્યા. સુનિલ દત્ત વિચારી રહ્યા કે આ શું કર્યું ? બીજા દિવસે શૂટિંગથી ઘરે આવ્યા તો એમની બહેન રાનીએ મુબારક બાદ આપી.. સુનિલ દત્ત ક્લૂ લેસ હતા. બહેન રાનીએ કહ્યું,ઉન્હોને હાં કર દી હૈ. નરગીસજી આઈથી એન્ડ સી એગ્રીડ. જો કે મધર ઈન્ડિયા રિલીઝ થઈ ત્યાં સુધી બંને પોતાના સંબંધો જાહેર નહોતા કરી શખ્યા. કારણ કે ફિલ્મમાં સુનીલ દત્ત નરગીસના પુત્રના રોલમાં હતા. મહેબૂબ ખાનને બીક હતી કે આ વાત જાહેર થશે તો ફિલ્મ પિટાઈ જશે. આખરે 11 માર્ચ 1958ના રોજ બંનેએ આર્યસમાજમાં લગ્ન કરી લીધા.
       
તસવીર સૌજન્યઃ કોઈમોઈ.કોમ

ટિફિન પણ બનાવતા નરગીસ  

ફાતીમા અબ્દુલ રશીદ તરીકે જન્મેલા નરગીસ બાળપણથી જ ખાધે પીધે સુખી ઘરમાં ઉછર્યા હતા. તેમના માતા જદનબાઈ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકાળાયેલા હતા. જો કે, સુનિલ દત્તનું ઘ નાનુ હતું. લાઈફસ્ટાઈલ જુદી હતી. પણ નરગીસ એડજસ્ટ થયા. નરગીસ માટે સુનિલ દત્ત એમની બહેન સાથે કૂકિંગ કોમ્પિટિશન કરાવતા હતા. કોઈ પણ સામાન્ય ગૃહિણીની જેમ નરગીસ સુનિલ દત્ત માટે ટિફિન બનાવતા. કદાચ રાજ કપૂર સાથેના સંબંધોમાં જે ન મળ્યુ એ બધું જ મેળવી લેવાની, અને આ સંબંધો સદા જાળવી રાખવાની મહેનત હતી. નરગીસ અને રાજ કપૂરના સંબંધોની ચર્ચા ખૂબ હતી. પણ રાજ કપૂર ક્યારેય નરગીસને અપનાવી ન શક્યા. આ સંબંધોમાં કદાચ નરગીસને એકલાપણું ખૂબ લાગ્યુ હતુ. એટલે જ સુનીલ દત્ત સાથેના સંબંધોમાં એમણે ખૂબ જ ધ્યાન રાખ્યુ. લગ્ન બાદ પણ સંબંધોને રીતસર ઉછેર્યા.      

અને નરગીસ-સુનિલ દત્તની ફિલ્મી સ્ટાઈલથી શરૂ થયેલી લવ સ્ટોરી આખી જિંદગી ફિલ્મી સ્ટાઈલની જ રહી. નરગીસને પેન્ક્રિયાકટીક કેન્સરનું નિદાન થયું. એ સમયે સંજય દત્તની જિંદગી પણ ડામાડોળ હતી. ફિલ્મ સ્ટાર હોવા છતાંય સુનિલ દત્ત પાસે પૈસાની તંગી થઈ હતી. નમ્રતા દત્તે એક વાતચીતમાં કરેલા ઉલ્લેખ પ્રમાણે સુનિલ દત્ત નરગીસજીને ખવડાવતા, બ્રશ કરાવતા.. શક્ય એવી નાની મોટી બધી જ સેવા કરતા. અને નરગીસ પથારીવશ થવાથી એમના જીવનમાં પડેલી ખોટ મોટી હતી. કેટલીકવાર તેઓ એકલા ખૂણામાં રડી પણ રહેતા. જો કે કેન્સરને કારણે સુનિલ દત્તે 3 મે 1981ના રોજ નરગીસને ગુમાવી દીધા.

Sunday 5 July 2020

… તો ‘કેવી રીતે જઈશ’ને બોલીવુડના જાણીતા ડિરેક્ટર અનુરાગ કશ્યપે પ્રોડ્યુસ કરી હોત!!


       

        ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેવી રીતે જઈશ?’ એક અલગ ચીલો ચાતરનાર ફિલ્મ બની છે. ફિલ્મ થિયેટર સુધી પહોંચી.. દર્શકો પણ થિયેટર સુધી પહોંચ્યા અને ફિલ્મને ખોળો પાથરીને વધાવી લીધી. પરંતુ આ ફિલ્મ દર્શકો સુધી પહોંચી એમાં અભિષેક જૈન અને એમની ટીમે કેટલી વીસે સો કર્યા છે, એની એક આખી અલગ જ કથા છે. 

        એક તો સમય એવો કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈને રસ નહોતો... એમાંય અભિષેક જૈન ડિરેક્ટર તરીકે સાવ નવા, એટલે વિશ્વાસ કોણ મૂકે એ સવાલ. જો કે અભિષેકને અંદરથી એવી પ્રબળ ઈચ્છા કે ગુજરાતીમાં ફિલ્મ તો બનાવવી જ છે. અભિષેકને પોતાના આ સપનામાં સાથ મળ્યો એમના જેવા જ તરવરિયા યુવાનો અનિષ શાહ અને મિખિલ મુસળેનો. અનિષ શાહને કદાચ તમે ધૂનકીના ડિરેક્ટર તરીકે અને મિખિલ મુસળેને મેડ ઈન ચાઈના કે રોંગ સાઈડ રાજુના ડિરેક્ટર તરીકે ઓળખતા હશો. પરંતુ આ ત્રણેયની સ્ટ્રગલ તો કેવી રીતે જઈશ સાથે જ શરૂ થઈ હતી.
 
        એક જ સરખું સપનું આ ત્રણેય યુવાનોને 2010માં સિનેમેન પ્રોડક્શન હેઠળ લઈ આવ્યું. આ જ પ્રોડક્શન હેઠળ કેવી રીતે જઈશ?’ લખાઈ. ફિલ્મ લખાઈ ગઈ.. પછી બોલીવુડમાં સામાન્ય રીતે પ્રોડ્યુસર શોધવા અને કાસ્ટ શોધવાનું કામ ચાલુ થઈ જાય. પણ આ તો હતી ગુજરાતી ફિલ્મ, એ પણ એવા સમયે જ્યારે દર્શકોને ગુજરાતી ફિલ્મ જોવા થિયેટરમાં આવવામાં રસ નહોતો. ઈન્ડસ્ટ્રી પાસે કોઈ એવા નામ નહોતા, જે તમામ વર્ગના દર્શકોને થિયેટરમાં ખેંચી લાવે. એટલે ફિલ્મ બનાવવા પૈસા કોણ આપે એ યક્ષપ્રશ્ન હતો. 

              ત્રણેય મિત્રોએ સૌથી પહેલા NDFC એટલે કે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફ આશાની નજર દોડાવી. NDFC નવા ફિલ્મ મેકર્સને સહાય કરતું હોય છે. પરંતુ ત્યાંથી કોઈ જવાબ આવ્યો નહીં, એટલે નવો સ્રોત શોધવો જરૂરી હતો. અહીં અભિષેક જૈન અને અનિષે એક એવો નિર્ણય લીધો, જેના પરથી અલગ ફિલ્મ બની શકે. બંનેએ નક્કી કર્યુ કે ગોવા ફિલ્મ ફેસ્ટિવલ જઈએ, ત્યાં તો દુનિયા ભરના ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ આવશે, કોઈને તો આપણી વાર્તામાં રસ પડશે. આમ તો આ વિચાર જ એવો હતો જેમાં સફળતા મળશે કે નહીં એનો અંદાજ પણ નહોતો. તેમ છતાંય બંને ગોવા પહોંચી ગયા. સૌથી પહેલા બંનેએ અનુરાગ કશ્યપને જોયા, વાર્તા સંભળાવવા અનિષે ખચકાતા ખચકાતા અને અભિષેકે આત્મવિશ્વાસ સાથે એપ્રોચ કર્યો. અનુરાગે 8 વાગ્યાની પાર્ટી પહેલા બે કલાકનો સમય આપી દીધો. એટલે બંને મિત્રો તો ખુશખુશાલ. પણ, જેમ ઈન્ડસ્ટ્રીમાં થાય છે એમ 4 વાગ્યાથી અભિષેક અને અનીષે 8 વાગ્યા સુધી અનુરાગ કશ્યપની રાહ જોઈ. આખરે અનુરાગ પાર્ટીમાં પધાર્યા, ત્યારે કદાચ આ કમિટમેન્ટ ભૂલી ચૂક્યા હતા. 



        જો કે અભિષેક અને અનિષને જોઈને તેમની પાસે આવ્યા અને પાર્ટીમાં વાર્તા સંભળાવવા કહ્યું. શોરબકોર વચ્ચે અભિષેકે નવો સમય માગ્યો. સમય મળ્યો સવારે સાડા છ નો. હવે મુશ્કેલી એ હતી કે અનુરાગની હોટેલ અને અભિષેક-અનિષની હોટેલ ગોવાના સામસામેના છેડે હતી. આખી રાત જાગીને નરેશનની પ્રેક્ટિસ કરી. સ્વાભાવિક છે, તમારે અનુરાગ કશ્યપ જેવા દિગ્ગજને સ્ક્રીપ્ટ સંભળાવીને પ્રોડ્યુસ કરવા મનાવવાના હોય ત્યારે તૈયારી પૂરી જોઈએ. અનુરાગની હોટેલમાં બાલ્કનીમાં બેસીને અભિષેક જૈને નરેશન આપ્યું. અનુરાગને રસ પડ્યો. ફિલ્મ પ્રોડ્યુસ કરવાની હા પાડી, અને આ બંને બંદા તો ખુશખુશાલ. બંનેની અમદાવાદ આવવાની ટિકિટ હતી, જે રદ કરાવી બંને મુંબઈ પહોંચ્યા, કારણ કે અનુરાગ કશ્યપે તેમને પોતાના બીજા પ્રોડ્યુસરને મળવાનું કહ્યું હતું.  જો કે એ મીટિંગમાં અનુરાગ નહોતા અને અનુરાગે સૂચવેલા પ્રોડ્યુસર (મૂળ ગુજરાતી)ને રસ ન પડ્યો. અભિષેકે પોતાના પુસ્તક આ તો જસ્ટ વાત છેમાં ખાસ લખ્યુ છે કે,’દુઃખની વાત હતી કે જે વિષય સાંભળીને અનુરાગ જેવા બિનગુજરાતીને રસ પડ્યો હતો, એ જ વાર્તા નકારનાર પેલો ફિલ્મ પ્રોડ્યુસર ગુજરાતી હતો. હશે કદાચ ઈતિહાસના ભાગ બનવાનું એમના નસીબમાં નહીં હોય. જો કે આખરે ઢગલાબંધ લોકોને મળ્યા બાદ, લોકોની વાતો સાંભળ્યા બાદ અભિષેક જૈને પોતે જ ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યુ, પ્રોડ્યુસ કરી. અને પછી જે રચાયો એ ઇતિહાસ આપણને બધાને ખ્યાલ જ છે. 



        જો કે એક અફસોસ કદાચ રહે કે જો આ નવો ચીલો ચાતરનાર ફિલ્મ સાથે અનુરાગ કશ્યપ સંકળાયા હોત, તો ફિલ્મ કંઈક જુદા જ લેવલ પર ગઈ હોત. રસપ્રદ વાત એ છે કે પાછળથી અનુરાગ કશ્યપ અભિષેક જૈનની જ ગુજરાતી ફિલ્મ સાથે સંકળાયા. વિક્રમાદિત્ય મોટવાને, મધુ મન્ટેના અને વિકાસ બહલ સાથે મળી બનાવેલા ફેન્ટમ પ્રોડ્ક્શનના બેનર હેઠળ અનુરાગ કશ્યપે સિનમેન પ્રોડક્શન સાથે મળી રોંગ સાઈડ રાજુ કો પ્રોડ્યુસ કરી. સિનેમેન અને ફેન્ટમ વચ્ચે 3 ફિલ્મો કરવાનો કોન્ટ્રાક્ટ પણ હતો. પરંતુ દુર્ભાગ્યે ફેન્ટમ પ્રોડક્શન જ વિખેરાઈ ગયું!!! 

        કદાચ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સ્ટ્રગલ લાંબી ચાલવાની છે...!! પરંતુ હંમેશા અમૃત કાઢવા માટે સમુદ્ર ઉલેચવો જ પડતો હોય છે.

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...